પલાળેલી બદામના અદ્ભુત ફાયદા: એક મહિના સુધી અપનાવશો તો શરીર અને મગજમાં આવશે ફેરફાર
પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર બદામને “સુપરફૂડ” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન ઈ, ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને આયર્ન જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી માટે લાભકારી છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે જો બદામને આખી રાત પલાળીને સવારે ખાવામાં આવે, તો તેના આરોગ્યલાભ અનેકગણા વધી જાય છે.
- પાચનતંત્ર માટે લાભદાયક
બદામ પાચનક્રિયા સુધારે છે, પરંતુ પલાળેલી બદામ શરીર દ્વારા વધુ સરળતાથી પચી જાય છે. તેની છાલમાં રહેલું ટેનિન તત્ત્વ પલાળવાથી દૂર થઈ જાય છે અને પાચક એન્ઝાઇમ્સ સક્રિય થાય છે. આથી પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે.
- હૃદયને રાખે તંદુરસ્ત
અહેવાલ મુજબ, બદામમાં રહેલું વિટામિન ઈ ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું અટકાવે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) મુજબ, બદામમાં રહેલા અનસેચ્યુરેટેડ ફેટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર જાળવે છે. નિષ્ણાતો દરરોજ મર્યાદિત માત્રામાં બદામ ખાવાની સલાહ આપે છે.
- પોષક તત્ત્વોનો ભરપૂર શોષણ
પલાળેલી બદામમાં રહેલા વિટામિન ઈ, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન શરીર વધુ સારી રીતે શોષી શકે છે. માત્ર એક મહિનામાં શરીર વધુ તંદુરસ્ત અને ઊર્જાવાન લાગે છે.
- વજન ઘટાડવામાં સહાયક
બદામમાં રહેલા ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. સવારે પલાળેલી બદામ ખાવાથી વધારાની સ્નેકિંગની જરૂર રહેતી નથી અને વજન કાબૂમાં રહે છે.
- મગજ માટે શ્રેષ્ઠ ફૂડ
રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટાઇન જેવા તત્ત્વો મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. રોજ પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિ અને એકાગ્રતા બંનેમાં સુધારો થાય છે.
- ત્વચા અને વાળ માટે ફાયદાકારક
વિટામિન ઈના એન્ટીઑકિસડન્ટ ત્વચાને ગ્લોઇંગ અને મુલાયમ બનાવે છે તથા વૃદ્ધત્વને મોડું કરે છે. એક મહિના સુધી પલાળેલી બદામ ખાવાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે.
હેલ્થ નિષ્ણાતો કહે છે કે જો તમે દરરોજ સવારે 5–6 પલાળેલી બદામ ખાવાની ટેવ અપનાવો, તો માત્ર થોડા અઠવાડિયામાં શરીર, ત્વચા અને મગજમાં સકારાત્મક બદલાવ જોવા મળશે.