કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા એક દિવસ માટે અટકાવાઈ
નવી દિલ્હીઃ કાશ્મીરમાં સતત ભારે વરસાદને કારણે, અમરનાથ યાત્રા આજે, બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે પહેલગામ અને બાલતાલથી યાત્રાળુઓની અવરજવર હાલ માટે બંધ કરવામાં આવી છે. યાત્રા આજે એટલે કે 30 જુલાઈના રોજ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ શકી નથી. કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું કે મંગળવાર રાતથી ભારે વરસાદને કારણે માર્ગ લપસણો અને ખતરનાક બની ગયો છે, જેના કારણે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને યાત્રા મુલતવી રાખવી પડી છે. અત્યાર સુધીમાં, અમરનાથ યાત્રા દરમિયાન 3.93 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.
બીજી જાહેરાત મુજબ, 31 જુલાઈના રોજ જમ્મુના ભગવતી નગર યાત્રા કેમ્પથી કોઈ પણ ટુકડી રવાના થશે નહીં. જમ્મુના વિભાગીય કમિશનર રમેશ કુમારે જણાવ્યું હતું કે હવામાન વિભાગની ચેતવણી અને માર્ગોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓને સમયાંતરે પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવશે, જેથી તેઓ મૂંઝવણમાં ન પડે અને સુરક્ષિત રહે. અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. યાત્રા રૂટ પર સેના, બીએસએફ, સીઆરપીએફ, એસએસબી અને સ્થાનિક પોલીસને મદદ કરવા માટે 180 વધારાની CAPF કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી ગુફા મંદિર અને તમામ ટ્રાન્ઝિટ કેમ્પ સુધીના સમગ્ર રૂટની સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. અમરનાથ યાત્રાના બે મુખ્ય રૂટ છે - પહેલગામ રૂટ, જ્યાંથી યાત્રાળુઓ 46 કિલોમીટર પગપાળા મુસાફરી કરે છે અને રસ્તામાં ચંદનવારી, શેષનાગ અને પંચતરણી જેવા સ્ટોપ દ્વારા ગુફા મંદિર પહોંચે છે. બીજો બાલતાલ રૂટ છે, જે ટૂંકો પણ મુશ્કેલ રૂટ છે, જેમાં શ્રદ્ધાળુઓ 14 કિલોમીટર ચાલીને તે જ દિવસે પાછા ફરી શકે છે. સુરક્ષા કારણોસર, આ વર્ષે કોઈપણ મુસાફર માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ નથી. અમરનાથ યાત્રાને હિન્દુ ભક્તો માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે આ ગુફામાં માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય કહ્યું હતું.