અમરનાથ યાત્રાઃ ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 6649 યાત્રાળુઓનો રવાના
નવી દિલ્હીઃ આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે છ હજાર 649 યાત્રાળુઓનો 11મો સમૂહ રવાના થયો. 275 વાહનોમાં દ્વારા આ તમામ યાત્રાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બે હજાર 337 યાત્રાળુઓ બાલતાલ અને ચાર હજાર 322 યાત્રાળુઓ પહેલગામ જવા રવાના થયા છે. આ બંને કેમ્પમાંથી યાત્રાળુઓ અમરનાથ ગુફા તરફ યાત્રા શરૂ કરશે.દરમિયાન ગઈકાલે અઢાર હજાર દશ યાત્રાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. આ સાથે, પવિત્ર ગુફાની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા એક લાખ 63 હજાર પર પહોંચી ગઈ છે.
ભારતીય લશ્કરે પહેલગામ હુમલાને લીધે આ વખતે સંવેદનશીલ ગણાતી અમરનાથ યાત્રામાં સલામતિ અને સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. ઈન્ડિયન આર્મીએ આ માટે ‘ઓપરેશન શિવા 2025’ શરૂ કર્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.
પાક. સમર્થિત આતંકી સંગઠનો દ્વારા વળતો હુમલો કરવાની ધમકીઓ વચ્ચે આ વર્ષે અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે ઓપરેશન શિવાનો ધ્યેય છે. સ્થાનિક તંત્ર અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)એ સંયુક્ત સમન્વય સાથે આ મિશન હાથ ધર્યું છે. અમરનાથ યાત્રાના બંને મુખ્ય રસ્તા બાલતાલ તથા પહેલગામ માર્ગ પર મજબૂત સુરક્ષા માળખું સ્થપવામાં આવ્યું છે.
આ વર્ષે સઘન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે યાત્રાના માર્ગ પર 8,500થી વધુ જવાનો તૈનાત છે. આ સૈનિકોને તકનિકી સાધનો અને કાર્યકારી ક્ષમતાઓથી સુસજ્જ કરાયા છે. ઓપરેશન અંતર્ગત લશ્કરના જવાનો સ્થાનિક તંત્રને ડિઝાસ્ટર રિસ્પોન્સ અને કટોકટી રાહત કાર્યોમાં પણ સહકાર પૂરો પાડી રહ્યા છે. લશ્કરના જણાવ્યા મુજબ અમરનાથ યાત્રા રૂટ પર મુખ્ય સુરક્ષા વ્યવસ્થામાં હવાઈ નિરીક્ષણ (C-UAS) ગ્રીડ સામેલ છે જે 50 C-UASથી સજ્જ છે અને ડ્રોન સહિતના સંભવિત હુમલાને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.