બાવળા સરખેજ હાઈવે પર ટ્રક પાછળ BMW કાર ઘૂંસી જતા યુવતીનું મોત, ત્રણને ઈજા
- મોરૈયા બ્રિજ પર ઈંટો ભરેલી ટ્રક પાછળ કાર ઘૂંસી ગઈ
- રાજકોટના ચાર મિત્રો અમદાવાદ આવી રહ્યા હતા,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ નેશનલ હાઈવે પર ઓવરસ્પીડને લીધે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બાવળા-સરખેજ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ બીએમડબલ્યુ કાર ઘૂંસી જતા કારમાં સવાર યુવતીનું મોત નિપજ્યું હતું જ્યારે કારચાલક સહિત ત્રણને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
બાવળા-સરખેજ નેશનલ હાઇવે પર ફરી બીએમડબલ્યુ કારનાચાલકની ગફલતને લીધે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોરૈયા બ્રિજ પર જતી ટ્રક પાછળ ધડાકાભેર રાજકોટથી અમદાવાદ જતી એક બીએમડબલ્યુ કાર અથડાઇ હતી. અકસ્માતમાં સ્થળ પર એક યુવતીનું કરુણ મોત થયું હતું. જ્યારે કારચાલક સહિત કુલ પ્રવાસીઓને ઇજાઓ થઈ હતી.
આ બનાવની વિગતો એવી છે કે, બાવળા-સરખેજ હાઈવે પર મોરૈયા બ્રિજ પર વહેલી સવારે એક ઇંટો ભરીને જતી ટ્રક પાછળ ધડાકાભેર એક બી.એમ.ડબલ્યુ કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે ટ્રકચાલક તેમજ અન્ય વાહનચાલકોએ તાત્કાલિક ઊભા રહી ભારે જહેમતથી બી.એમ.ડબલ્યુ કારમાં સવાર ચારેય ઇજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા, જેમાં સ્થળ પર રોશનીબેન હસમુખભાઈ કટારમલ (ઉં.વ. 29, રહે.રાજકોટ મૂળ જામનગર)નું કરુણ મોત થયું હતું. બનાવમાં કારના ચાલક તેમજ કારમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી. 108 મારફતે ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અકસ્માતના બનાવને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માત અંગે ટ્રક ચાલક વિષ્ણુભાઈ અર્જુનભાઈ ખટાણા (રહે. દુધઈ ગામ સુરેન્દ્રનગર)એ ચાંગોદર પોલીસમાં કારચાલક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ટ્રક પાછળ ઘૂસી ગયેલી બી.એમ.ડબલ્યુ કારને ક્રેનથી મદદથી બહાર કાઢી હતી.ઘટનાને પગલે મૃતક અને ઇજાગ્રસ્તનો પરિવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. મૃતક યુવતી અભ્યાસ કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચારેય મિત્રો બીએમડબલ્યુ કારમાં રાજકોટ બાજુથી અમદાવાદ ફરવા માટે જતાં હતા, ત્યારે મોરૈયા બ્રિજ પર જતાં ટ્રક પાછળ બી.એમ.ડબલ્યુ કાર ઘૂસી જતાં ટ્રક પચાસેક ફૂટ જેટલી આગળ ઢસડાઇ હતી. ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું.