અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં 60 કેસ નોંધાયા,કૂલ 330 કેસમાં 241 એક્ટિવ કેસ
- ડબલ સીઝનને લીધે શરદી, ઉઘરસ અને તાવના દર્દીઓ પણ વધ્યા
- રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા
- લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ
અમદાવાદઃ ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઈલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે. અમદાવાદમાં હાલ 330 કેસમાંથી 241 એક્ટિવ કેસ છે. હાલ ઠંડી-ગરમી અને ભેજ મિશ્રિત ડબલ સીઝનને કારણે શરદી-ઉઘરસ અને તાવના દર્દીઓ પણ વધી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. કુલ 330 કેસ નોંધાયા છે જેમાં 241 જેટલા કેસો હાલ એક્ટિવ છે. 88 જેટલા લોકો હાલ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બોપલ - ઘુમા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર સેટેલાઈટ, જોધપુર, સરખેજ, મક્તમપુરા, વાસણા,પાલડી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, આશ્રમ રોડ રાણીપ, નવાવાડજ, ન્યુ રાણીપ, જગતપુર, કેશવનગર વાડજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં 190થી વધુ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં કોરોના વાઇરસનો કહેર યથાવત્ છે અને દિનપ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેર જાણે કોરોનાની ઝપેટમાં આવી ગયું હોય એમ લાગી રહ્યું છે, કારણ કે આજે વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ નવા કેસો સાથે રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 52 પર પહોંચી ગયો છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે, જોકે આજે 6 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે, જે ખરેખર રાહતની બાબત છે. અત્યારસુધી કુલ 12 દર્દી સ્વસ્થ થતાં હાલ 40 દર્દી હોમ આઇસોલેટ છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ છે. હિમકરસિંહ હાલ હોમ આઇસોલેટ છે. જિલ્લા પોલીસ વડાની તબિયત હાલ સ્વસ્થ છે. સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઈલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 2 મહિલાના મોત થયા છે.