ચોટિલામાં રાતના સમયે આકસ્મિક તપાસ કરાતા ખનીજની ચોરી કરીને જતી 5 ટ્રક પકડાઈ
- નાયબ કલેક્ટરે ચેકિંગ દરમિયાન 1.20 કરોડના મુદ્દામાલ સહિત 5 ટ્રક જપ્ત કરી
- ટ્રકચાલકો રોયલ્ટી પાસ વિના ખનીજની હેરાફેરી કરતા હતા,
- ચેકિંગ ચાલી રહ્યાની જાણ થતાં કેટલાક ટ્રકચાલકો રસ્તા પર રેતી-કપચી ખાલી કરીને નાસી ગયા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. કલેકટર દ્વારા ખનીજચોરી સામે લાલ આંખ કરવામાં આવી હોવા છતાંયે ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે જિલ્લાના ચોટીલામાં સરપ્રાઈઝ ચેકિંગ કરાતા ગેરકાયદે ખનિજ વહનની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે રાત્રે 8થી 1 વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ચોટીલા-રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી ગામ, આપા ગીગાના ઓટલો, સાંગાણી પુલ અને મઘરીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડેડ એવા 5 ટ્રક પકડાયા હતા. આ સાથે રેકી માટે વપરાતા મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
જિલ્લાના નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા ચોટિલા અને તેની આસપાસના વિસ્તારોમાં રાતે ખનીજ ભરીને આવતી ટ્રકો અને ડમ્પરોને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડેડ એવા 5 ટ્રક પકડાયા હતા, જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 1,20,85,444 થવા જાય છે. તમામ ટ્રકનું વે-બ્રિજ પર વજન કરીને તેમને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવ્યા છે. ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલિગલ માઇનિંગ, ટ્રાન્સ્પોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક ટ્રક અને ડમ્પર ચાલકો માલ રસ્તા પર ખાલી કરીને ભાગી છૂટ્યા હતા. જપ્ત કરાયેલા મોબાઈલમાંથી મળેલી માહિતી મુજબ, આ સમગ્ર ઓપરેશન દરમિયાન ડેપ્યુટી કલેક્ટરની હલનચલનની માહિતી આપવામાં આવતી હતી.