હારીજના કુકરાણા ગામ નજીક કારે અડફેટે લેતા મહિલાનું મોત
- કુકરાણા શાળામાંથી મહિલા પોતાના બાળકોના દાખલા લેવા જતા હતા,
- મહિલા હારીજ તરફ જવા માટે રસ્તાની એક બાજુ વાહનની રાહ જોઈ રહ્યા હતા,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
પાટણઃ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક એક મહિલાનું કાર અકસ્માતમાં મોત થયું છે. જશવંતપુરા ગામના ગીતાબેન ભાવાજી ઠાકોર (ઉંમર 45) કુકરાણા શાળામાંથી પોતાના બાળકોના દાખલા લેવા આવ્યા હતા. ત્યારે હારીજ કરફ જવા માટે રોડ પર વાહનની રાહ જોઈને ઊભા હતા ત્યારે પૂરઝડપે આવેલી કારે ગીતાબેનને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યુ હતું
આ અકસ્માતના બનાની વિગત એવી છે કે, હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક એક ગીતાબેન નામના મહિલાને કારે અડફેટે લેતા મોત નિપજ્યુ હતું. ગીતાબેન અગાઉ કુકરાણા ગામે ભાગની જમીનમાં ખેતી કરતા હતા. હવે તેઓ બીજી જગ્યાએ જમીન વાવવાના હોવાથી બાળકોના દાખલા કઢાવવા શાળામાં આવ્યા હતા. સંબંધીઓને મળ્યા બાદ હારીજ તરફ જવા માટે રસ્તાની એક બાજુ વાહનની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન હારીજ તરફથી આવતી એક કારે તેમને અડફેટે લીધા હતા. પૂરઝડપે આવેલી કારે ગીતાબેનને અડફેટે લઈને 40 ફૂટ સુધી ધસડ્યા હતા. આ અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર એક વ્યક્તિને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જોકે કાર ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.