સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર ડમ્પરે ટેમ્પાને અડફેટે લેતા મહિલાનું મોત, 15ને ઈજા
- ટેમ્પામાં દાહોદથી શ્રમિકો ખેત મજુરીએ જઈ રહ્યા હતા ત્યારે સાયલા પાસે બન્યો બનાવ,
- પૂરફાટ દોડતા ડમ્પરો પર પોલીસનો કોઈ અંકૂશ નથી,
- અકસ્માતના બીજા બનાવમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે 2 પદયાત્રીના મોત,
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે ડમ્પરે ટેમ્પાને અડફેટે લેતા એક શ્રમિક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે 15 લોકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દાહોદથી શ્રમિકો ટેમ્પામાં ખેત મજુરી માટે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં ચોટિલા જઈ રહેલા બે પદયાત્રીઓને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બન્નેના મોત નિપજ્યા હતા.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પિકઅપવાન (ટેમ્પો) અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 15થી વધુ શ્રમિકોને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે વાહનને લગભગ 100 ફૂટ સુધી ઘસડવામાં આવ્યું. આસપાસના લોકોએ તાત્કાલિક ઘાયલોને સાયલા હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ દાહોદ, પાવા, ધાનપુર, રૈયાવાડ તરફથી માલવાહક ટેમ્પામાં બેસીને 14થી વધુ યુવાનો અને મહિલાઓ પોતાના પરિવારને લઈ મૂળી તરફ ખેતી કામ માટે જઈ રહ્યા હતા. દરમિયાન સાયલા પાસેથી પસાર થતાં પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પાના પાછળના ભાગે ટક્કર મારતા ટેમ્પાએ પલટી ખાતા મહિલા, બાળકો, યુવાનો રસ્તા ઉપર ફંગોળાયા હતા. આ બનાવમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું પરંતુ તેની ઓળખ થઈ ન હતી. દરમિયાન 15 ઇજાગ્રસ્તોને સાયલા દવાખાને ઈમરજન્સી ડોક્ટર જી.સી. મોટકાએ પ્રાથમિક સારવાર આપી હતી. અને તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.
બીજા અકસ્માતની વિગતો એવી છે કે, સાયલા નજીક રવિવારે રાત્રે બે વાગ્યા આસપાસ ધોળકા તેમજ તારાપુર તરફથી ચોટીલા મંદિરે પગપાળા ચાલીને જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઇ રાઠોડને અજાણ્યા વાહને ઠોકર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાયલાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં બંનેના સારવાર દમિયાન મોત થયા હતા.