મુસ્લિમ લીગ સાથે મળીને સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં ગઈ હતી, ખડગેનો BJP ને સવાલ
નવી દિલ્હી: રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' પર ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો વંદે માતરમ્નું મહત્વ નથી જાણતા, તે તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તરત જ વળતો પ્રહાર કર્યો હતો. ખડગેએ કહ્યું કે, "જે લોકો ગઈકાલ સુધી વંદે માતરમ્ બોલતા નહોતા, તે આજે નારા લગાવી રહ્યા છે. તે જ લોકો ચિંતિત છે." આ દરમિયાન તેમણે રાજ્યસભામાં 'વંદે માતરમ્'ના નારા પણ લગાવ્યા હતા. ખડગેએ પોતાના સંબોધનમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, "ભાજપવાળા દેશભક્તિની વાત કરી રહ્યા છે. આ એ જ લોકો છે જેમણે મુસ્લિમ લીગ સાથે મળીને સરકાર બનાવી હતી. તે સમયે તેમની દેશભક્તિ ક્યાં ગઈ હતી?"
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વંદે માતરમ્ પર પોતાની સ્પીચ શરૂ કરી, આ દરમિયાન તેમણે 'વંદે માતરમ્, વંદે માતરમ્'ના નારા લગાવ્યા. ખડગેએ કહ્યું કે, "ગૃહ મંત્રીના બોલ્યા પછી મને સમય આપવા બદલ હું સભાપતિનો આભાર માનું છું. હું સૌભાગ્યશાળી છું. હું 60 વર્ષથી આ જ ગીત ગાઈ રહ્યો છું. વંદે માતરમ્ ન ગાનારાઓએ હવે શરૂઆત કરી છે. હું કોંગ્રેસ તરફથી બંકિમજીને નમન કરું છું." ખડગેએ સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું કે દેશ આર્થિક સંકટ અને બેરોજગારીથી ઝઝૂમી રહ્યો છે. "એવામાં સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવી વસ્તુઓ લાવે છે." ખડગેએ કહ્યું કે સત્તા પક્ષે બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વંદે માતરમ્ પર ચર્ચા કરી છે. ખડગેએ કહ્યું કે, આ મુદ્દા દ્વારા અસલી મુદ્દા પરથી ધ્યાન ભટકાવી શકાય નહીં. "આજે એક ડૉલરની કિંમત 90 રૂપિયા થઈ ચૂકી છે. જનતાના મુદ્દાઓ અને તેમની સમસ્યાઓ પર જ ચર્ચા થવી જોઈએ. આ એક રીતે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે."
ખડગેએ પોતાના ભાષણમાં પીએમ મોદી પર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે વડા પ્રધાને 1937માં નહેરુ પર ઓરિજિનલ વંદે માતરમ્માંથી ખાસ લાઈનો હટાવવાનો આરોપ લગાવ્યો છે. "હવે તમે આ વાતો ઉઠાવી રહ્યા છો, પરંતુ જ્યારે તમે મુસ્લિમ લીગ સાથે મળીને બંગાળમાં સરકાર બનાવી હતી, ત્યારે શું થયું હતું? જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળમાં સરકાર બનાવવા માટે સામેલ થયા હતા, ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી?" ખડગેએ કહ્યું કે દાયકાઓ પછી એવું થઈ રહ્યું છે કે બાંગ્લાદેશ પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે. ચીન અરુણાચલ પર પોતાનો કબજો જણાવી રહ્યું છે. એક મહિલાને ચીને શાંઘાઈમાં 18 કલાક બેસાડી રાખી, તેમ છતાં ચીન વિરુદ્ધ એક શબ્દ પણ બોલવામાં આવ્યો નથી.