For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સંબંધોમાં જ્યારે અહમની જીત થતી હોય છે, ત્યારે લાગણીઓની હાર થતી હોય છે

08:00 AM Apr 05, 2025 IST | revoi editor
સંબંધોમાં જ્યારે અહમની જીત થતી હોય છે  ત્યારે લાગણીઓની હાર થતી હોય છે
Advertisement
પુલક ત્રિવેદી

(પુલક ત્રિવેદી)

Advertisement

આદિથી માંડીને અત્યાર સુધી અને આજથી માંડીને અનંતકાળ સુધી જગત જો ટક્યું છે તો એક માત્ર લાગણીઓના કારણે. પ્રશ્ન એ થાય કે લાગણી એટલે શું? જેમાં આનંદ હોય એ લાગણી, ગ્લાની થાય દુઃખ થાય એ પણ લાગણી, વાત્સલ્ય, પ્રેમ, ઉષ્મા પણ લાગણી અને માન, સન્માન, અપમાન પણ લાગણી છે. ઊચા પર્વત ઉપરથી ખળખળ વહેતા ઝરણાની જેમ હૃદયમાંથી સતત અવિરત વહેતું તત્ત્વ એટલે લાગણી. સાત્વિક લાગણીઓ હૃદયમાં પડેલા ઉઝરડા ઉપર મલય બની ળાતા આપે તો ક્યારેક કોઈ તામસિક લાગણીઓ ઝિરડા પાડીને એની ઉપર મરચાની ભૂકી ભભરાવવાનું કામ કરે. લાગણીઓ બાહમાં ખિલેલા પુષ્પને પણ છે અને લાગણીઓ આગની ભભુકતી જ્વાળાઓ પણ છે.

લાગણીઓ છે તો સંબંધોનું વિશ્વ આબાદ છે. લાગણી જીવન છે અને લાગણીનું તત્ત્વ છે તો જગતનું સત્ય અને સત્વ સલામત છે. લાગણીઓનો પ્રદેશ નિરાળો છે. એના ત્રણ મુખ્ય વિભાગો છે સકારાત્મક લાગણીનો ઉપવન જેવો પ્રદેશ, વિઘટનકારી નકારાત્મક લાગણીઓનો જંગલ જેવો પ્રદેશ અને તટસ્થ સ્થિર લાગણીઓનો રૂક્ષ પ્રદેશ. અમુક મનોચિકિત્સકોનું તારણ એવું પણ રહ્યું છે કે, લાગણીઓ સામાજિક ચેતનાનો પુંજ છે. લાગણીઓ સામાજિક સાંસ્કૃતિક પરિભાષાને બૌદ્ધિક અને શારીરિક ચેતનાઓ વચ્ચે સંકલન સાધવાનું કાર્ય કરે છે.

Advertisement

બ્રાયન કેવેર્નોએ એના પુસ્તક મોર સાર્સ સીડ્સમાં એક મઝાની વાત કરી છે. એક ગામમાં બે ભાઈઓનું મજીયારુ ખેતર હતું. ખેતરને બંને ભાઈઓ સાથે ખેડે અને મહેનત કરીને ધાન પકવે. મોટો ભાઈ પરણેલો હતો. એને બાળકો અને પત્ની હતી. જ્યારે નાના ભાઈને લગ્ન નહતા થયા. એ કુંવારો હતો. ખેતરમાં જે કંઈ પણ પાકે આ બંને ભાઈઓ દર વખતે અડધો અડધો ભાગ કરીને લઈ લે.

અપરણિત નાના ભાઈએ મનોમન વિચાર્યું કે, અમે બંને સરખેભાગે વહેંતી લઈએ એ બરાબર ન કહેવાય. હું તો અપરણિત છું. મારી જરૂરિયાત ઓછી છે. મોટાભાઈનો પરિવાર છે એમની જરૂરિયાત વધુ છે એટલે મોટાભાઈને વધારે હિસ્સો મળવો જોઈએ. એટલે હંમેશા રાત્રે અંધારામાં પોતાના હિસ્સામાંથી અનાજની એક ગુણ લઈને બંને ભાઈના મકાન વચ્ચેથી ખાલી જગામાંથી પસાર થતી એક ગલીમાં થઈને મોટાભાઈના ઘરમાં મૂકી આવતો.

સામે પક્ષે મોટો ભાઈ મનોમન એમ વિચારતો હતો કે, પાકના ઉત્પાદનમાં બે સરખા હિસ્સા થાય એ બરાબર નથી. હું પરણેલો છું આગામી સમયમાં મને કંઈ થશે તો મારી પત્ની અને બાળકો મારી સંભાળ લેશે. પણ નાના ભાઇની સંભાળ લેવાવાળુ કોણ છે ? એને વધારે ભાગ મળવો જોઈએ. એટલે એ રાત્રે અંધારામાં પોતાના ઘરમાંથી અનાજની એક ગુણ ઉચકી કુંવારા નાનાભાઈના ખેતરમાં મૂકી આવે.

વર્ષો સુધી આમ ચાલ્યા કર્યું. બંને ભાઈઓને આશ્ચર્ય થાય કે, અમે એક ગુણ મૂકી આવીએ છીએ છતા ગુણોની સંખ્યા સવારે એટલીને એટલી જ કે રહે છે ? એક દિવસ રાત્રે બંને ભાઈઓ ખભે ગુણ ઉચકીલી હાલતામાં અંધારામાં અથડાઈ ગયા. બંને ભાઇને એક ક્ષણમાં વર્ષોની વિમાસણનો તોડ મળી ગયો. બંનેએ અનાજની ગુણ જમીન ઉપર નાખી ભેટી પડ્યા. બંનેની આંખોમાંથી અશ્રૃધારા વહેવા લાગી. હિલોળા લેતો લાગણીઓનો મહાસાગર અલૌકિક વાતાવરણ ફેલાવતો રહ્યો.

કહેવાય છે ને કે, સંબંધોમાં જ્યારે અહમની જીત થતી હોય છે, ત્યારે લાગણીઓની હાર થતી હોય છે. પ્રેમ અને લાગણીમાં પરફેક્શન કરતા સચ્ચાઈનું વધારે મહત્ત્વ હોય છે. સાચી લાગણીઓ શબ્દોની મહેતાજ ક્યારેય નથી હોતી. લાગણી તો અનુભૂતીનુ ક્ષેત્ર છે. લાગણી, પ્રેમ અને હુંફ ત્યારે કરમાઈ જતી હોય છે જ્યારે પોતાની સમજેલી વ્યક્તિ તરફથી હુફ અને સાથ સાંપડતો નથી. કોઈને રાત્રે ઊંઘ નથી આવતી જ્યારે અમુક રાત્રે ઉંઘવા નથી માગતા. લાગણી અને તિરસ્કાર વચ્ચેનુ અંતર સમજાય એ જરૂરી છે. લાગણીઓ જિંદગીનો અનુપમ શણગાર છે.

Advertisement
Tags :
Advertisement