સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 30મી જુન સુધી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી અપાશે
- 30મી જુન સુધી નર્મદા કેનાલોમાં 30,689 MCFT પાણી છોડાશે
- 000 એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે
- 950થી વધુ તળાવો નર્મદાના નીરથી ભરી દેવાશે
ગાંધીનગરઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025 સુધી 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
રાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે તો કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. લોકોને પીવાના પાણી અને ખેડૂતોને ચિંસાઈનું પાણી મળે તે માટે નર્મદાનું પાણી ઉપયોગમાં લેવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ધારાસભ્યો તેમજ કિસાનો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ તા. 30મી જુન 2025 સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. જેમાંઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16150 MCFT પાણી આપવામાં આવશે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના 950 થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.