For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

થરાદના માંગરોળ પાસે ભારતમાલા હાઈવે પરના સર્વિસરોડ પર પાણી ભરાયા

06:15 PM Jun 17, 2025 IST | revoi editor
થરાદના માંગરોળ પાસે ભારતમાલા હાઈવે પરના સર્વિસરોડ પર પાણી ભરાયા
Advertisement
  • પાણી ભરાવાથી વાહનચાલકો-ખેડૂતો પરેશાન,
  • સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે,
  • યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને નાળાની વ્યવસ્થાની માંગ

પાલનપુરઃ  થરાદ તાલુકાના માંગરોળ નજીક ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો અને હજારો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા સર્વિસ રોડ બન્યો ત્યારથી યથાવત છે, અને અનેક રજૂઆતો છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

થરાદ તાલુકાના માંગરોળ નજીક ભારતમાલા હાઈવેના  સર્વિસ રોડ પર આવેલા ખેતરોના મુખ્ય દરવાજા પાસે પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને તેમના ખેતર કે ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને ઘરે આવવા-જવા માટે વૈકલ્પિક અને લાંબો રસ્તો લેવાની ફરજ પડી રહી છે. આના કારણે તેમનો સમય અને શક્તિનો વ્યય થાય છે. સર્વિસ રોડ પર પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડી જાય છે. લોકોને પોતાના વાહનોને ધક્કા મારતા પણ જોવા મળ્યા હતા, જે ટ્રાફિક જામ અને અસુવિધાનું કારણ બને છે. થરાદથી સાચોર અને સાચોરથી થરાદ તરફ દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કાયમી ઉકેલનો અભાવ:સ્થાનિકો અને ખેડૂતો દ્વારા હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ માત્ર સ્થળ પર આવીને જાય છે અથવા ક્યારેક પાણીના ટેન્કરથી પાણી ખાલી કરાવે છે, જે માત્ર હંગામી ઉપાય છે અને સમસ્યાનું મૂળ નિરાકરણ લાવતો નથી.

ખેડૂતોના કહેવા મુજબ અગાઉ નાળા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે કોણે બંધ કર્યા તેની તેમને જાણ નથી, જેના કારણે પાણીનો ભરાવો થાય છે. પાણીના નિકાલ માટે નાળા બંધ હોવા અથવા અપૂરતા હોવા એ પાણી ભરાવવાનું મુખ્ય કારણ જણાય છે.  હજુ તો ચોમાસુ બરાબર શરૂ પણ થયું નથી અને આટલું પાણી ભરાય છે, તો આખું ચોમાસુ કેવી પરિસ્થિતિ થશે તે મોટો પ્રશ્ન છે. આજે સવારે પણ બે ગાડીઓ ફસાઈ હતી જેને સ્થાનિકોએ મદદ કરીને બહાર કાઢી હતી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે માંગરોળ ત્રણ રસ્તા નજીક બંને સાઈડ ભરાતા પાણીનો કાયમી નિકાલ આવે જેથી ખેડૂતો અને વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર થાય. તેઓ યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને નાળાની વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement