અમદાવાદમાં વિવેકાનંદ કોલેજને BU અને FIRE સેફ્ટી ન હોવાથી સીલ મરાયા
- કોલેજને સીલ વાગતા સવારે વિદ્યાર્થીઓને પરત ફરવાની ફરજ પડી
- મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા 6 ફુડકોર્ટને પણ સીલ મરાયા
- બીયુ પરમિશન-ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા કમિશનરે આપી સૂચના
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને સીલ મારી દેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે સવારે વિદ્યાર્થીઓ કોલેજ પર આવ્યા ત્યારે કોલેજ બિલ્ડિંગને સીલ લાગેલા જોઈને પરત ફર્યા હતા.
એએમસીના એસ્ટેટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ વિવેકાનંદ કોલેજના બિલ્ડીંગમાં ફાયર સેફટી અને બિલ્ડીંગના બે માળ મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા. ઉપરાંત આ બિલ્ડીંગ જર્જરીત છે. જેથી આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવતા આજે જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેમને પાછા જવું પડ્યું હતું. એએમસીએ આજે પણ શહેરમાં ફૂડ કોર્ટ, સ્કૂલો, કોલેજો વગેરે જગ્યાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ગુરૂવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડાનો ઉપયોગ અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે, કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવ્યા છે.