નાગપુર હિંસા કેસમાં જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગણી
મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ પોલીસ દ્વારા 10 વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમજ પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે ઘટનામાં સંડોવાયેલા લોકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ ઔરંગઝેબની કબ્રને ઉખાડી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.
વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે, જે પણ લોકો આ ઘટનામાં સામેલ છે તેમની સામે બુલડોઝર કાર્યવાહી કરીને ઘર તોડી પાડવા જોઈએ. તેમજ આ હિંસામાં હિન્દુ સમાજના લોકોને જે પણ નુકશાન થયું છે તેની વસુલાત ધર્મઝૂનૂની શખ્શો પાસેથી કરવી જોઈએ. અમે સરકારને કહ્યું છે કે, આ કબ્ર તોડીને જ રહીશું. તેઓ સંવિધાનમાં નથી માનતા તેઓ તમામ જિહાદી છે. હિન્દુ સમાજને ડરાવવા અને ધમકાવવા માટે જ આ હિંસા આચરવામાં આવી હતી. તેઓ ઔરંગઝેબને પોતાનો આદર્શ માને છે. આ જિહાદીઓ સામે હવે હિન્દુ સમાજે રસ્તા ઉપર આવવું જ પડશે. દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ અબુ આઝમી જવાબદાર છે. તેમણે જ આ મુદ્દો ઉછાળ્યો છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે અને તેઓ હિંસા ના રોકી શકતા હોય તો રાજીનામું આપી દેવુ જોઈએ. જેમ ઉત્તરપ્રદેશમાં બુલડોઝર ચલાવવામાં આવે છે તેવી રીતે અહીં પણ બુલડોઝર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. તેવો પણ વેધક સવાલ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની ભાજપા સરકારને કર્યો હતો.