ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીમાં દર્શાવેલા પાકનું વેરીફીકેશન થશે
- મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન શરૂ કરાયું,
- ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેની જ નોંધણી કરાવવા અપીલ,
- ખેડૂતોએ ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા સુચના
ગાંધીનગરઃ ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ-2025 માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા, ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેવા જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇતે પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.