વડોદરાઃ MSUના વિદ્યાર્થીએ વિવિધ રાજ્યની કલાથી રામાયણના 25 ભારતીય લોકચિત્ર બનાવ્યા
અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આકાશ શર્માએ રામાયણની વાર્તા દર્શાવતા 25 ભારતીય લોકચિત્રો પ્રદર્શિત કર્યા. ડૉ. સરજૂ પટેલના માર્ગદર્શન હેઠળ, તેમણે વિવિધ રાજ્યના વિવિધ કલા સ્વરૂપોનો ઉપયોગ મહત્વપૂર્ણ ઘટનાઓ દર્શાવવા માટે કર્યો.
આકાશ શર્માએ વિવિધ ભારતીય રાજ્યોના 25 ભારતીય લોક ચિત્રોમાં રામાયણની વાર્તાનું નિરૂપણ કર્યું છે. તે રાજસ્થાની લઘુચિત્ર, કાંગડા, નિર્મલ, પિથોરા, મધુબની, નક્ષી, ફડ,પટ્ટાચિત્ર, ગોંડ, કલમકારી, ભીલ, ચિત્રવન, તંગકા, સંથાલ, ચિત્રા, વારલી, ચિત્રકથી, માતાની પચેડી, સોહરી, ચેરિયાલ સ્ક્રોલ, સૌરા, કાલીઘાટ, પિછવાઈ, તંજોર અને કાવડ ચિત્રોનો ઉપયોગ આ મહાકાવ્યને દૃશ્યાત્મક રીતે પ્રદર્શિત કરવા માટે કરે છે. તેમનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
કસ્તુરી મૃગ ઘટના મધ્યપ્રદેશના ગોંડ પેઈન્ટિંગ દ્વારા, સીતામાતા સ્વયંવર બિહારના મધુબની પેઈન્ટિંગ દ્વારા, રામ દરબાર તમિલનાડુના તંજોર પેઈન્ટિંગ દ્વારા, સીતામાતાહરણને આંધ્રપ્રદેશના કલામકારી પેઈન્ટિંગ દ્વારા, લક્ષ્મણ-રામજીના પટ્ટચિત્ર અને સુરપંખાના નાક કાપતા ચિત્રો ઓડિશાના પેઈન્ટિંગ દ્વારા અને મધ્યપ્રદેશના ભીલ પેઈન્ટિંગ દ્વારા શબરીમિલનના ચિત્રો દર્શાવાયા છે.
રામજી અને કેવટ મિલન રાજસ્થાનના ફડ પેઈન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. રાવણવધનું નિરૂપણ પશ્ચિમ બંગાળથી કાલીઘાટ પેઈન્ટિંગ દ્વારા કર્યું. રામજી અને વિભીષણ મિલન ચેરિયાલ સ્ક્રોલ પેઈન્ટિંગ દ્વારા જ્યારે લક્ષ્મણજીનું ચિત્રણ મહારાષ્ટ્રની ચિત્રક પેઈન્ટીંગ દ્વારા દર્શાવવામાં આવ્યું. માતાજીની પૂજા કરતા રામજીનું ચિત્રણ ગુજરાતની માતા નીપછેડી પેઈન્ટિંગ, રામજી દ્વારા ધનુષ ભાંગનું નિર્મલ પેઈન્ટિંગ દ્વારા ચિત્રણ કરાયું. રાજસ્થાનના કાવડ પેઈન્ટીંગ દ્વારા કૈકઈ અને મંથરા સંવાદ દર્શાવાયો.
મેઘનાથ પ્રહાર પર ઝારખંડના સોહરી પેઈન્ટિંગ દ્વારા લક્ષ્મણજીનું ચિત્રણ, બિહારના ચિત્રા પેઈન્ટિંગ દ્વારા લંકા દહનનું ચિત્રણ, સિક્કિમના ટંગકા પેઈન્ટિંગ દ્વારા અશોક વાટિકાનું ચિત્રણ, ગુજરાતના પિથોરા પેઈન્ટિંગ દ્વારા રામજીકી બારાતનું ચિત્રણ અને ઝારખંડના સંથાલ પેઈન્ટિંગ દ્વારા સીતામાતા અને હનુમાનજી મિલનનું ચિત્રણ કરાયું.