ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન
- કચ્છના નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે,
- માવઠાને લીધે મીઠાના તૈયાર કરેલા પાટા તેમજ સોલાર પ્લેટને નુકસાન,
- અગરિયાઓને નુકસાનીનું વળતર આપવાની માંગ
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખતા જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારામાં હાલ અગરિયાઓ દ્વારા મીઠુ પકવવાની સીઝન ચાલી રહી છે, દિવાળી બાદ અગરિયાઓ મીઠુ પકવવા માટે રણમાં પહોંચ્યા હતા. ત્યારે રણ વિસ્તારમાં માવઠુ પડતા અગરિયાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મીઠાના પાટા સંપૂર્ણ ધોવાઈ ગયા છે. અને રણ વિસ્તારમાં ચારેબાજુ પાણી જોવા મળી રહ્યું છે. આથી મીઠાના પાટામાં થયેલા નુકસાનીને લઇ વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ અગરીયાઓમાં માંગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાનો રણ વિસ્તાર અંદાજે 4953 ચોરસ કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલો છે જેને કરછના નાના રણ તરીકે પણ ઓળખાય છે. અગરીયાઓ ચોમાસાના ચાર મહિના દરમિયાન રણની બહાર રહે છે. એટલે કે ચામાસાની સીઝન શરૂ થતાં અગરિયાઓ પોતાના પરિવાર સાથે પોતાના માદરે વતન આવી જતા હોય છે. જયારે બાકીના આઠ મહિના રણમાં જ રહી તનતોડ મહેનત કરી મીઠું પકવે છે. કચ્છના નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. ત્યારે ધ્રાંગધ્રા અને પાટડી તાલુકામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને પગલે અગરિયાઓના તૈયાર કરેલા મીઠાના પાટા ધોવાઈ ગયા છે. હજુ પણ વાવાઝોડા અને વરસાદની આગાહી છે. આથી અગરિયાઓ વધુ નુકસાનની ચિંતામાં છે. તંત્ર દ્વારા નુકસાનની કોઈ તપાસ થઈ નથી.
સમગ્ર દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં અને તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં થાય છે પરંતુ કુદરત પણ જાણે અગરીયાઓથી રૂઠી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અગરીયાઓને થયેલા નુકસાનને ધ્યાને લઈને વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ અગરીયાઓમાં માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં પણ કમોસમી વરસાદથી નુકસાન વેઠવું પડયું હતું ત્યારે ચાલુ વર્ષે બીજી વાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.