રાજકોટ અને મોરબીમાં ઈન્કમટેક્સના દરોડામાં 300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
- ઈન્કમટેક્સના અધિકારીઓની ચોથા દિવસે પણ તપાસ ચાલુ,
- 25માંથી 3 લોકર ખોલાતા 50 લાખની જ્વેલરી મળી આવી,
- બાકીના 22 લોકર ખોલવાની પ્રક્રિયા બે દિવસમાં હાથ ધરવામાં આવશે
રાજકોટઃ ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ રાજકોટ અને મોરબીના લેવીસ, લીવા અને મેટ્રો ગ્રુપ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા 47 સ્થળો પર દરોડા પાડ્યા હતા. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા દરોડાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. દરોડા દરમિયાન રૂ. 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.
ઈન્કમટેક્સના બિન સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ રાજકોટ અને મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા 47 સ્થળો પર સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સિરામિક ગ્રુપના સંચાલકોએ મોટા પાયે કરચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ કબૂલાત બાદ હવે હિસાબોની વિગતવાર ચકાસણી અને કરચોરીની રકમ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લેવાયેલા આ પગલાથી ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરોડા દરમિયાન, 25 જેટલા રહેણાંક સ્થળો, 5 ઓફિસ અને બાકીના ફેક્ટરી યુનિટ્સ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એકસાથે અનેક ટીમો દ્વારા તપાસ કરવામાં આવતા, કરચોરોને છુપાવવાનો મોકો મળ્યો ન હતો.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ તપાસ દરમિયાન, ઈન્કમટેક્સ વિભાગને કુલ 25 જેટલા લોકર મળી આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 3 લોકર ખોલવામાં આવ્યા છે. આ લોકરમાંથી 50 લાખ રૂપિયાની કિંમતની જ્વેલરી મળી આવી હતી, જેને તાત્કાલિક સીઝ કરવામાં આવી છે. બાકીના 22 લોકર ખોલવાની પ્રક્રિયા આગામી બે દિવસમાં હાથ ધરવામાં આવશે, જેનાથી વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની સંભાવના છે. આ લોકરનું લિસ્ટ અને ચકાસણી માટેનો રિપોર્ટ રાજકોટ વિંગને મોકલી દેવામાં આવ્યો છે.
આઈટી વિભાગની ચાર દિવસની તપાસમાં 300 કરોડથી વધુનો આંકડો સામે આવ્યો છે, જે એક પ્રાથમિક અંદાજ છે. હાલમાં ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કરેલા હિસાબી ચોપડા, કમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ, અને ડિજિટલ ડેટાની ચકાસણી બાકી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ કરચોરીનો ફાઈનલ આંકડો ઘણો વધી શકે છે. હજુ આ કેસમાં કયા-કયા વ્યવહારોમાં કરચોરી થઈ છે, અને કઈ રીતે કરચોરીને છુપાવવામાં આવી હતી, તેની વિગતવાર તપાસ કરવામાં આવશે.