વડોદરા નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત
- હાઈવે પર કોઈ અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન
- હાઈવે પર અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો
- પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ આદરી
વડોદરાઃ રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇક (જીજે 06-એસડી- 7601)ને અડફેટે લેતા બે યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્ષી મોલની સામે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી વાહન સાથે ભાગી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા અને લોકોએ તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ઘટનાને પગલે અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. જો કે, પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બંને મૃતક યુવકોની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરામાં છેલ્લા 3 મહિનાથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વાહનચાલકો બેફામ રીતે વાહન ચલાવીને અકસ્માત કરે છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે.