ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયા, એકનું મોત
- હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના બની,
- એક શ્રમિકને બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો,
- કોન્ટ્રાકટરની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં રોષ
આણંદઃ ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડતા બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ખંભાત નજીક હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન માઇનોર બ્રિજનો સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઇ છે. હાથિયાવાડ વિસ્તારની ઘટનામાં બે મજૂર દટાયા હતા, જેમાં એકનું મોત થયું છે. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એક મજૂરને બચાવી લીધો હતો. 108 મારફતે એક શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે સેફ્ટીના સાધનો ન રાખી કામગીરી કરાતા દુર્ઘટના સર્જાઇ હતી. કોન્ટ્રાકટરની બેદરકારીથી શ્રમિકને જીવ ગુમાવવો પડ્યો છે.
આ બનાવની વિગતો એવી છે કે, આણંદના ખંભાત નજીક હાથિયા ખાડ વિસ્તારમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઇ છે. સ્લેબ તૂટી પડવાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્લેબ તૂટી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિકને બચાવી લેવાયો છે. અકસ્માતના પગલે સ્થાનિક તંત્રના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો
પ્રાથમિક તબક્કે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કોઇપણ જાતની સેફ્ટીના સાધનો વિના પુલની કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્લેબના કાટમાળની નીચે દટાયેલા શ્રમિકને રેસ્ક્યૂ કરી બચાવી સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે મૃતક શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.