અમદાવાદમાં સૈજપુર-બોઘામાં બે માળના મકાનમાં આગ લાગતા બે લોકો કૂદી પડતા ઘવાયા
- ત્રણ લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા,
- રેસીડેન્સિયલ બંગલોમાં આઇસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તરીકે ઉપયોગ થતો હતો,
- બેટરીઓના ચાર્જિંગમાં ઓવરલોડિંગના કારણે આગ લાગી,
અમદાવાદઃ શહેરના સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલી બિસ્કીટ ગલીમાં બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બચાવની કામગીરી ચાલતી હતી. ત્યારે ફાયરના જવાનોએ મકાનમાં રહેલા લોકોને રેસ્ક્યુ કરવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન બે યુવાનો પ્રથમ માળેથી કૂદી પડ્યા હતા. બન્ને યુવાનોને ઈજાઓ થઈ હતી. જ્યારે ત્રણ લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના સૈજપુર- બોઘા વિસ્તારમાં બિસ્કીટ ગલી આવેલી છે જેમાં રેસીડેન્સીયલ બે માળના નાના-મોટા બંગલા અને મકાનો આવેલા છે. બિસ્કીટ ગલીમાં બે માળના રહેણાંક મકાનની જગ્યા ને ભાડે રાખવામાં આવેલી હતી જેમાં આઇસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આઇસક્રીમની ત્રણ પૈડાવાળી નાની સાયકલો જેમાં બેટરીનો ઉપયોગ થતો હતો તેને રાખવામાં આવતી હતી. રાત્રિના સમયે બેટરીઓ ચાર્જમાં મૂકવામાં આવેલી હતી. ઓવરલોડિંગના કારણે બેટરીઓમાં આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોરમા મૂકેલી ત્રણ સાયકલો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી આગનો ધુમાડો ખૂબ વધારે થઈ ગયો હતો અને ફેલાઈ ગયો હતો.
સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલી બિસ્કીટ ગલીમાં બે માળના મકાનમાં ઉપરના માળે સાઇકલ ચલાવનારા ચારથી પાંચ લોકો રહેતા હતા. જેઓ આગ લાગતા બાલકનીમાં આવી ગયા હતા. તેઓ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો તો જેમાં બે લોકોએ ઉપરથી નીચે કૂદકો માર્યો હતો એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અન્ય વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી બાકીના લોકો ધીરે ધીરે પોતાનો જીવ બચાવવા માટે ગેલેરીમાંથી બાજુના છજા મારફતે નીચે ઉતરી ગયા હતા. ઘટનાની જાણ થતા બાદમાં આવેલી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી