વડોદરા તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે 11 ફુટના બે મહાકાય મગરોનું રેસ્ક્યુ કરાયું
- ગળામાં ગાળિયો નાખતાની સાથે જ મગરે ચાર જેટલી ગુલાંટી મારી,
- અનગઢ ગામે મહિસાગર નદીમાંથી મગર ગામમાં ઘૂસી ગયો,
- મગર પર પાંચ યુવક બેઠા ત્યારે માંડ-માંડ કાબૂમાં આવ્યો,
વડોદરાઃ શહેરમાં વરસાદે વિરોમ લેતા અને વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તર ઘટતા મગરો નદીમાથી બહાર આવી રહ્યા છે. ત્યારે તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે બે મહાકાય મગરો ગ્રામજનોએ એનજીઓ અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ અને NGOને થતા તાત્કાલિક બે ટીમ બંને ગામોમાં પહોંચી કામગીરી હાથ ધરી હતી જેમાં ચાંપાડ ગામમાં મહાકાય 11 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગળામાં ગાળિયો નાખતાની સાથે જ મગરે ચાર જેટલી ગુલાંટી મારી હતી. આ મગર પર પાંચ યુવક બેઠા ત્યારે માંડ-માંડ કાબૂમાં આવ્યો હતો. જ્યારે અનગઢ ગામે પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.
આ અંગેની વિગત એવી છે કે, વડોદરાના અનગઢ ગામમાં મગર હોવાની જાણ વન વિભાગ અને NGOને થતા તાત્કાલિક બે ટીમ બંને ગામોમાં પહોંચી કામગીરી હાથ ધરી હતી. અનગઢ ગામ પાસેથી મહીસાગર નદી પસાર થાય છે અને નદીમાંથી મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, ભારે જહેમત અને સમય સૂચકતાથી વન વિભાગની ટીમે અને વોલિયંટરે છ ફૂટના મગરનું રેસ્ક્યૂ કરી લીધું હતું.
જ્યારે ચાંપડ ગામ પાસે તળાવ આવેલું છે અને અહીંયા રહેણાંક વિસ્તારમાં મહાકાય 11 ફૂટનો મગર ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ વન વિભાગ સાથે સંસ્થાના લોકોએ પહોંચી રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. અંધારામાં મગરના ગળામાં ગાળિયા નાખતાની સાથે જ મહરે મોઢું ફાડી ચાર જેટલી ગુલાંટી મારી હતી. ભારે જહેમત બાદ મગર કાબૂમાં આવતા પાંચ યુવક તેના પર બેઠી ગયા હતાં અને બાદમાં પાંજરે પૂર્યો હતો. આમ બંને મગરને સહી સલામત રેસ્ક્યૂ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યા છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નદી કે તળાવ મગરોનું કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે, તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે, કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે, આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.