વઢવાણ નજીક કપચી ભરેલા પરમિટ વિનાના ઓવરલોડ બે ડમ્પરો પકડાયા
- તંત્ર દ્વારા બે ડમ્પરો સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- તંત્રની કડકાઈ છતાંયે જિલ્લામાં બેરોકટોક ચાલી રહેલુ ખનન
- ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રની કડકકાર્યવાહી છતાંયે બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. ખાસ કરીને સાયલા, મુળી, અને થાન સહિતના વિસ્તારોમાં ખનીજચોરીના વધુ બનાવો બની રહ્યા છે. તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ ત્યારબાદ ફરી ખનન શરૂ થઈ જતું હોય છે. તાજેતરમાં વઢવાણ પંથકમાં ખનીજ ચોરી પકડવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કપચી ભરેલા બે ડમ્પર પકડાયા હતા. આથી રૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોં હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન બેરોકટોક ચાલી રહ્યું છે. ખનીજ ખનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ આવી પ્રવૃતિઓ કરીને ભૂમાફિયાઓ સરકારી તિજોરીઓને નુકસાન પહોંચાડીને માલામાલ બની રહ્યા છે. ત્યારે આવી પ્રવૃતિઓ પર રોક લગાવવા જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના થાન, મૂળી તેમજ સાયલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ખનીજ ચોરી સામે સર્ચને કારણે ભૂમાફિયાઓમાં દોડધામ મચી છે. તો બીજી તરફ હવે વઢવાણ તાલુકામાં રેતી સહિત ખનીજ ચોરી વધી છે. ત્યારે તા.7-4-2025ના રોજ કલેક્ટર સુરેન્દ્રનગરની તેમજ વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળાની સૂચનાથી વોચ ગોઠવાઇ હતી. જેમાં વઢવાણ ટીમના અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, મહાદેવભાઇ નાકીયા, ચેતનભાઈ કણઝરીયા સહિતની ટીમ દ્વારા વઢવાણથી વાઘેલા રોડ પાસે ચેકીંગ હાથ ધર્યું હતું.આ ચેકિંગમાં ગેરકાયદે ખનીજ વહન કરતા કુલ બે ઓવરલોડ રોયલ્ટી પાસ પરમીટ વગર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર પકડાયા હતા. આથી ડમ્પર સહિત અંદાજે કુલ રૂપિયા 90,00,000નો મુદ્દામાલ સીઝ કરાયો હતો. આ ટીમ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.