પાટણના સરસ્વતી મોરપા ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જતા મોત
- સગા ભાઈ-બહેનના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ
- બનાવની જાણ થતાં ગ્રામજનો તળાવના કાંઠે દોડી આવ્યા
- ગામના 5 બાળકો ગરમીથી રાહત મેળવવા તળાવમાં નહાવા પડ્યા હતા,
પાટણઃ તાલુકાના સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જતા મોત નિપજ્યા છે. મૃતક બંને બાળકો સગા ભાઈ બહેન હોવાથી તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પાટણના સરસ્વતી મોરપા ગામે ગામના 5 બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા. જેમાં બે બાળકો ડુબવા લાગતા સાથી બાળકોએ બન્ને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ બન્ને બાળકોને બચાવી શકાયા નહતા. આ બનાવની ગ્રામજનોને જાણ થતાં ગ્રામ લોકો તળાવના કાંઠે દોડી આવ્યા હતા. અને બન્ને બાળકોને તળાવમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. અને ત્વરિત બન્ને બાળકોને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બન્ને બાળકોના મોત નિપજ્યા હતા.
ગ્રામજનોના કહેવા મુજબ પાટણના સરસ્વતી મોરપા ગામે ચારથી પાંચ બાળકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન 9 વર્ષનો ભાઈ અને 14 વર્ષની બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બે બાળકો તળાવમાં ડૂબી રહ્યા હતાં, ત્યારે તેમને ડૂબતા જોઈ સાથે નહાવા પડેલા અન્ય બાળકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી હતી. બાદમાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. અને બાળકોને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યા હતાં.