સુરતમાં સાયબર ફ્રોડના નામે 32 હીરા ઉદ્યાગપતિના બેન્ક ખાતા ફ્રિઝ કરાતા મુશ્કેલી
- સાયબર ફ્રોડની માત્ર શંકાના આધારે હૈદરાબાદ-બેંગલુરુ પોલીસે કરી કાર્યવાહી
- હીરાના વેપારીઓના 100 કરોડ ફસાયા
- હવે હીરાના વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે
સુરતઃ સાયબર ફ્રોડની શંકાને લીધે શહેરના 32 જેટલાં હીરાના વેપારીઓના બેન્ક ખાતાં હૈદરાબાદ અને બેંગલુરૂ પોલીસ દ્વારા સીઝ કરાતા વેપારીઓના આશરે 100 કરોડ ફસાયા છે. તેના લીધે વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાય ગયા છે, વેપારીઓએ અંગે અગાઉ રજુઆતો પણ કરી હતી. પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હીરાના વેપારીઓના રોજિંદા આર્થિક વ્યવહારો અટકી જતાં મુશ્કેલીમાં મુકાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હેદ્રાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓનાં બેન્ક એકાઉન્ટ સીઝ કરી દીધાં છે. જેમાં હીરા વેપારીઓના અંદાજીત 100 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. હીરા વેપારીઓનાં એકાઉન્ટ વારંવાર સીઝ થતાં હોવાને કારણે હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત માટે દિલ્હી જશે.
હીરાના વેપારીઓએ જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડની માત્ર શંકાના આધારે વેપારીઓને બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે., જેથી કેન્દ્ર સરકાર આ બાબતો કાયમી ઉકેલ લાવે તે ખુબજ જરૂરી છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતનાં વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓનાં 50 જેટલાં બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યાં હતાં ત્યારે પણ હેરાનગતિ થઈ હતી. કોર્ટેનો પણ આદેશ છે કે, ફ્રોડ થયા હોય તેટલા જ રૂપિયા સીઝ કરો, સપ્ટેમ્બર મહિનામાં જ્યારે 50 જેટલા હીરા અને જ્વેલરીના વેપારીઓનાં બેન્ક ખાતાં સીઝ થયા હતા, જેમાંથી શહેરની એક કંપનીએ હેદ્રાબાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આદેશ કર્યો હતો કે, પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમાં સમગ્ર એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે છે, પરંતુ જેટલી રકમ સાઈબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થઈ હોય તેટલી જ રકમ સીઝ કરવા માટે પોલીસે જે-તે બેન્કને સૂચના આપવી જોઈએ.
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ગત વખતે 50 વેપારીઓનાં ખાતાં સીઝ થયાં હતાં, ત્યારબાદ ફરી એક સાથે 32 બેન્ક ખાતાં સીઝ કરાયાં છે. આ મામલે હવે ગૃહ મંત્રીને રજૂઆત કરાશે.