જામનગર-ખંભાળિયા હાઈવે પર કાર-ટ્રેકટર અને બોલેરો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત
- જામનગર હાઈવે પર નોઘેડી ગામ પાસે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં ટ્રેકટરના બે ટુકડા થયાં, અકસ્માતમાં બેને ઈજા
- રેન્જ રોવરના ચાલક સામે ગુનો નોંધાયો
જામનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે જામનગર-ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. નાઘેડી ગામના પાટીયા પાસે બપોરે એક રેન્જ રોવર કાર, ટ્રેક્ટર તેમજ બોલેરો જીપ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે ત્રણેય વાહનોમાં ભારે નુકસાની થઈ છે. આ અકસ્માતને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજા પામેલા ટ્રેક્ટર ચાલકે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગર નજીક નાઘેડી ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી રેન્જ રોવર કાર આગળ જઈ રહેલા એક ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી અને ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. એટલું જ માત્ર નહીં, કાર અને ટ્રેક્ટર બંને 200 મીટર દૂર સુધી ઢસડાયા હતા ત્યારબાદ બંને વાહનો એક બોલેરો સાથે પણ અથડાયા હતા, જેના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને ત્રણેય વાહનોમાં ભારે નુકસાની થઈ હતી. ટ્રેક્ટરના બે ટુકડા થયા બાદ ટ્રેક્ટરની ટ્રોલી એક વીજ પોલ સાથે અથડાઈ પડી હતી, જેના કારણે વીજ પોલ પણ ભાંગી ગયો હતો.
આ અકસ્માત બાદ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા. જે બનાવ અંગેની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો, અને જહેમત લઈને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. અકસ્માતગ્રસ્ત બનેલા ટ્રેક્ટર ચાલક કૌશિકભાઈ અશોકભાઈ મકવાણા તથા અન્ય એક વ્યક્તિ સહિત બેને નાની મોટી ઇજા થવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જયારે સમગ્ર અકસ્માતના મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ હતી. જેમાં ઇજાગ્રસ્ત બનેલા કૌશિકભાઈ અશોકભાઈ મકવાણાએ રેન્જ રોવર કારના ચાલક સામે ત્રિપલ અકસ્માત સર્જી, બે વ્યક્તિ તથા ટ્રેકટર અને બોલેરોમાં નુકસાની પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.