દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, 5 ફેબ્રુઆરીએ મતદાન
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોચી ગઇ છે. પાંચ ફેબ્રુઆરીના રોજ દોઢ કરોડથી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. રાજધાની દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 603 પુરૂષ અને 96 મહિલા ઉમેદવાર પોતાનું નશીબ અજમાવી રહ્યાં છે. મતગણતરી આઠ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. દિલ્હીની ચૂંટણીમાં દરેક મુખ્ય પક્ષોએ કોઇ કસર છોડી નથી. તમામ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપના નેતાઓ જનતા પાસે મતની અપીલ કરશે. ગૃહમંત્રી અમિત શાહ મેહરોલી, નજબગઢ, અને જનપુરામાં ચૂંટણી સભા યોજશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ બોરાડીમાં જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસ પણ દિલ્હીમાં સત્તા મેળવવા અથાગ પ્રયત્ન કરી રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંઘી મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી માટે રોડ શો સહિત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.
દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. પોતાને લોકોના "સેવક" ગણાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીવાસીઓને ખાતરી આપી હતી કે ભાજપ શહેરમાં સરકાર બનાવશે પછી તેઓ ઝૂંપડપટ્ટીવાસીઓ અને મધ્યમ વર્ગના લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરશે. આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ જે પણ વચનો આપે છે તે પૂરા કરે છે. તેમણે મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુ પૈસા નાખવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં સમાવિષ્ટ આવકવેરા લાભો પર પ્રકાશ પાડ્યો.
પીએમ મોદીએ AAP સરકારના કૌભાંડો પર પ્રહારો કર્યા અને કહ્યું કે AAP નેતાઓએ જવાબ આપવો પડશે અને "જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેટો માલ પાછો આપવો પડશે." કેન્દ્રીય બજેટ 2025-26 પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે તે વિકસિત ભારતના ચાર સ્તંભો - ગરીબ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને મોદીના વચનને પૂર્ણ કરવાની ગેરંટી છે. તેમણે કહ્યું, “આ લોકોની આકાંક્ષાઓનું બજેટ છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પરનો કર શૂન્ય કરવામાં આવ્યો હોવાથી મધ્યમ વર્ગ હજારો રૂપિયા બચાવશે. આઝાદી પછી ભારતીય પગારદાર વ્યક્તિને આપવામાં આવેલી આ સૌથી મોટી કર રાહત છે."
(Photo-File)