આરોગ્ય કર્મીઓની હડતાળનો આજે 5મો દિવસ, ગાંધીનગરમાં પોલીસનો સઘન બંદોબસ્ત
- આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અડગ
- લીડર ગણાતા 5થી 6 કર્મચારીઓ મુખ્યમંત્રીને રજુઆત કરવા જશે
- આરોગ્ય કર્મચારીઓએ ઘ-4ના ગાર્ડનમાં એકઠા થઈને બેઠક યોજી
ગાંધીનગરઃ ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા.17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો પાંચમો દિવસ છે. સરકારે એસ્મા લાગુ કર્યા બાદ પણ હડતાળ ચાલુ રહી છે. અને આરોગ્ય કર્મચારીઓ મક્કમ છે. આજે પણ આરોગ્ય કર્મચારીઓ એકઠા થવા લાગતા પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન લીડર ગણાતા આરોગ્ય વિભાગના 5 કર્મચારીઓએ મુખ્યમંત્રીને મળવાનો સમય માગ્યો છે. કર્મચારીઓ મુખ્યમંત્રીને મળીને પડતર પ્રશ્નોની રજુઆત કરશે.
રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્ન ઉકેલવાની માગ કરી રહ્યા છે. પણ માગણી ન સંતોષાતા તાઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ગઈકાલે વિધનસભાનો ઘેરાવો કરવા જતાં 500થી વધુ કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે, આજે શુક્રવારે ફરીથી મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ રામકથા મેદાનમાં ભેગા થતાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મળતી માહિતી મુજબ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાંચથી છ કર્મચારીઓ વિધાનસભા ખાતે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરના ઘ-4ના ગાર્ડનમાં મિટિંગનું આયોજન કરાયું હતું.
આરોગ્ય કર્મચારીઓની હડતાળના સામે સરકારે 'એસ્મા' (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કર્યો છે. આ અંગે આરોગ્ય મંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો સરકાર કડક પગલાં લેશે. દરમિયાન આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોઇ નિકાલ ન આવતાં સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.