આણંદના પણસોરા રોડ પર હીટ એન્ડ રન, બાઈકસવાર ત્રણ યુવાનોના મોત
• કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી
• અકસ્માત બાદ વાહન સાથે ચાલક નાસી ગયો
• ઘટના સ્થળે બે યુવાનોનું અને સારવાર દરમિયાન એકનું મોત
આણંદઃ જિલ્લાના પણસોરા-વણસોલ રોડ પર હીટ એન્ડ રનમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. પણસોરા નજીક આવેલી રાઈસ મિલ પાસે કોઈ અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, , ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી ગામના સુરેન્દ્રસિંહ સોઢા પરમારના મામાના પુત્ર બળવંતભાઈને સલુણ નજીક અકસ્માત થયો હોવાની જાણ થતાં ત્રણ યુવકો બાઈક લઈને ખબર જોવા નીકળ્યા હતા. બાઈક નંબર GJ 17 CJ 2088 પર વિજયસિંહ ચૌહાણ (ઉં.વ. 24), નરેશકુમાર ડાભી (ઉં.વ. 19) અને નિલેશકુમાર ડાભી (ઉં.વ. 18) સવાર હતા. મામાના દીકરાનો અકસ્માત થતાં ખબર લેવા જતાં ત્રણેય યુવાઓને અકસ્માત નડતાં મોત થયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પણસોરા-વણસોલ રોડ પર રાતના સમયે અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં વિજયસિંહ અને નરેશકુમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે નિલેશકુમારનું નડીયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ભાલેજ પોલીસે સુરેન્દ્રસિંહ સોઢા પરમારની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.