પાલિતાણા હાઈવે પર ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકસવાર ત્રણ યુવાનોના મોત
- ગઈ મોડી રાત્રે સોનપરી નજીક અકસ્માતનો બન્યો બનાવ
- બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત
- પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી
ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાલિતાણા હાઈવે પર સોનપરી નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. રાતના સમયે ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકસવાર ત્રણેય યુવાનોના મોત નિપજ્યા હતા. ટ્રકની પાછળ લાઈટ કે રેડિયમ પટ્ટી ન હોવાથી બાઈકચાલકને રાતના સમયે ટ્રક દેખાઈ ન હોવાનું કહેવાય છે. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પાલિતાણા હાઇવે પર ગુરૂવારે મોડી રાત્રે ટ્રકે બાઇકને ટક્કર મારી ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેનું આજે શુક્રવાર સારવાર મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભાવનગરના પાલિતાણા હાઇવે પર સોનાપરી નજીક ગુરૂવારે મોડી રાત્રે બાઇક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકો થોરાળી ગામથી પાલીતાણા તરફ બાઈક લઈને ત્રણ સવારી યુવાનો જઈ રહ્યા હતા. તે સમયે ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજે (શુક્રવારે) ટુંકી સારવાર વધુ એક યુવકનું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં થોરાળી ગામના ત્રણ યુવાનોના કરુંણ મોત નીપજતા પરિવારમાં માતમ ફેલાયો છે. અકસ્માતની ઘટના બાદ પરિવારજનો આરોપ કર્યો હતો કે હાઈવે રોડ ઉપર ટ્રકની પાછળ પાર્કિંગ લાઈટ પણ શરૂ કરવામાં આવી ન હતી અને રેડિયમ પણ લગાવવામાં આવ્યું ન હતું. આ ગોઝારા અકસ્માતમાં કમલેશ વાઘેલા, દીપક વાઘેલા અને રાહુલ વાઘેલા નામના કૌટુંબિક ભાઈઓના મોત નીપજ્યા છે.