For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત

05:55 PM Nov 12, 2025 IST | Vinayak Barot
રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત
Advertisement
  • ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં 5 વર્ષની બાળકી રમતા-રમતા પડી,
  • બાળકીને બચાવવા જતા તેની માતા માસુમ બાળકી સાથે પડી,
  • પાણીની ટાંકી ઊંડી હોવાથી ડૂબી જતા ત્રણેયના મોત

ભૂજઃ કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

 કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારો બનાવ બન્યો હતો.  ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓના ડૂબી જતા મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ બનાવની વિગત એવી છે કે,  આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. 28) આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી. પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડી હતી. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની માસૂમ દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઉંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા. આ બનાવ સમયે રૈયાબેનના પતિ રવાભાઈ એક ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયા હોવાથી ઘરે હાજર ન હતા. મૃતક રૈયાબેનને સંતાનમાં કુલ ત્રણ દીકરીઓ હતી. સદનસીબે, તેમની અન્ય એક દીકરી તે સમયે ઘરમાં સૂઈ રહી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય માતા-પુત્રીના મૃતદેહોને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે પછી પારિવારિક કારણોસર આપઘાત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

Advertisement
Tags :
Advertisement