છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ ઠાર
રાયપુરઃ છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્તીસગઢના બીજાપુર જિલ્લાને અડીને આવેલા પડોશી રાજ્ય તેલંગાણાની સરહદ પર નક્સલી પ્રવૃત્તિની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ત્યારે થયું જ્યારે ટીમ બંને રાજ્યોની સરહદ પર આવેલા કરેગુટ્ટાના પહાડી વિસ્તારમાં હતી. આ એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી ત્રણ નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ એન્કાઉન્ટરમાં અન્ય નક્સલીઓ પણ માર્યા ગયા હોવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, આ ઓપરેશન બસ્તર ક્ષેત્રમાં શરૂ કરાયેલા સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનમાંનું એક છે. આ કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઇટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), રાજ્ય પોલીસના તમામ યુનિટ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને તેની સ્પેશિયલ યુનિટ કોબ્રા સહિત વિવિધ યુનિટના લગભગ 10,000 કર્મચારીઓ સામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેલંગાણા પોલીસ પણ આ કામગીરીમાં સહાયક ભૂમિકા ભજવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે માઓવાદીઓના સૌથી મજબૂત લશ્કરી સંગઠન બટાલિયન નંબર વન અને માઓવાદીઓની તેલંગાણા રાજ્ય સમિતિના વરિષ્ઠ કેડરોની હાજરી અંગે મળેલી માહિતીના આધારે સોમવારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ થોડા દિવસો સુધી સતત ચાલુ રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઢ જંગલો અને ટેકરીઓથી ઘેરાયેલો આ વિસ્તાર માઓવાદી બટાલિયન નંબર વનનો બેઝ એરિયા હોવાનું કહેવાય છે.