ચિલોડા બ્રિજ અને દહેગામ નજીક અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત
- ચિલોડા-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત,
- અરજણજીના મુવાડા પાસે પીકઅપ વાને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત,
- બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં ચિલાડો-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રક ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે દહેગામ તાલુકામાં અરજણજીના મુવાડા રોડ પર પીકઅપ વાને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર કાકા-ભત્રીજાનું કરુણ મોત નિપજ્યું હતુ.
અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી છે કે, હિંતનગર હાઈવે પર ચિલોડા બ્રિજ નજીક પાર્ક કરેલા ટ્રક ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા કન્ટેનરના ડ્રાઈવર અરવિંદકુમાર વર્મા (રહે. સોહરાબાદ, ઉત્તરપ્રદેશ)નું મૃત્યુ થયું હતુ. અકસ્માત સમયે RJ-27-GE-0771 નંબરનું ટ્રેલર રોડની જમણી બાજુએ બંધ હાલતમાં પાર્ક કરેલું હતું. ટ્રેલરની સાઈડ લાઈટો બંધ હોવાથી અંધારામાં કન્ટેનરના ડ્રાઈવરને તે દેખાયું નહીં. આ અકસ્માત બાદ ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બચાવવા લોકોએ પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.
ચિલોડા-હિંમતનગર હાઈવે પર વારંવાર આવા અકસ્માતો થાય છે. પોલીસે માત્ર 'નો પાર્કિંગ'ના બોર્ડ લગાવીને જ પોતાની ફરજ પૂરી કરી રહી હોય એવુ લાગી રહ્યું છે. રાત્રિ દરમિયાન હાઈવે પર થતા આવા ગેરકાયદે પાર્કિંગ સામે કોઈ કાર્યવાહી થતી નથી.
અકસ્માતનો બીજા બનાવ દહેગામના અરજણજીના મુવાડા નજીક બન્યો હતો. ભાટઈ ગામના નરેશકુમાર ચંદ્રસિંહ ચૌહાણ તેમના ભત્રીજા યુવરાજસિંહ (ઉ.વ.16) સાથે બાઈક નંબર GJ-18-DH-0590 પર દેવકરણના મુવાડા ગયા હતા. સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાધાકુઈથી અરજણજીના મુવાડા વચ્ચેના રોડ પર તેમની બાઈકની પિકઅપ ડાલા સાથે ટક્કર અથડાઈ હતી. આ અકસ્માતમાં નરેશકુમાર અને યુવરાજસિંહ બંનેને મોઢા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને તાત્કાલિક ખાનગી વાહનમાં દહેગામની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.