સાવરકુંડલાના ભેંસણિયા ડેમમાં ત્રણ બાળકો ડૂબ્યાં,બેનાં મોત, એકનો બચાવ
- સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું
- ત્રણેય બાળકો નહાવા માટે ડેમમાં પડ્યા હતા
- સાવરકુંડલા હોસ્પિટલમાં પરિવારજનોના રુદનભર્યાં દૃશ્યો સર્જાયાં
અમરેલીઃ સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં બે બાળકોના ભેંસાણિયા ડેમમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકનો બચાવ થયો હતો. સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળકો નહાવા માટે ભેંસાણિયા ડેમ પર ગયા હતા. ત્રણેય બાળકો ડૂબી ગયાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કરીને એક બાળકને બચાવી લીધો હતો. બે બાળકોના મોતથી આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગતો એવી છે કે, સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં રહેતાં ત્રણેય બાળકો ભેસાણિયા ડેમમાં નહાવા માટે ગયો હતા. જેમાં ત્રણેય બાળકોમાંથી 14 વર્ષીય કૃણાલ અશ્વિનભાઈ સોલંકી અને 10 વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી ડૂબી ગયાં હતાં. જ્યારે 13 વર્ષીય મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૂબેલાં બે બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. મૃતક કૃણાલના ફઈને આઘાત લાગતાં તેમણે પોતાના માથા પર પથ્થર મારીને પોતાને ઇજાગ્રસ્ત કરી લીધાં હતાં. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રુદનભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ડેમમાં બાળકોના સુરક્ષિત પ્રવેશ માટે યોગ્ય વ્યવસ્થાઓની જરૂરિયાત પર ચર્ચા થઈ રહી છે.