પહેલગામમાં હુમલો કરનારાઓએ કલ્પના નહીં કરી હોય તેવી સજા તેમને મળશેઃ PM મોદી
પટનાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદીએ ભાષણ શરૂ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા. તેમજ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યાં ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે મૌન પાડ્યું હતું. દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પહેલગામમાં હુમલો કરનારાઓને કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "આજે, પંચાયતી રાજ દિવસ નિમિત્તે, આખો દેશ બિહારના મિથિલા સાથે જોડાયેલો છે. આજે, દેશ અને બિહારના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન અહીં કરવામાં આવ્યું છે. વીજળી, રેલ્વે, માળખાગત સુવિધાઓના આ વિવિધ કાર્યો બિહારમાં રોજગારની નવી તકો ઉભી કરશે. આજે રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરની પુણ્યતિથિ પણ છે, હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "બિહાર એ ભૂમિ છે જ્યાંથી પૂજ્ય બાપુએ સત્યાગ્રહનો મંત્ર ફેલાવ્યો હતો. પૂજ્ય બાપુ દ્રઢપણે માનતા હતા કે જ્યાં સુધી તેના ગામડા મજબૂત નહીં થાય ત્યાં સુધી ભારત ઝડપથી વિકાસ કરી શકશે નહીં. દેશમાં પંચાયતી રાજની વિભાવના પાછળની આ ભાવના છે. છેલ્લા દાયકામાં, પંચાયતોને સશક્ત બનાવવા માટે એક પછી એક પગલાં લેવામાં આવ્યા છે. ટેકનોલોજી દ્વારા પંચાયતોને પણ મજબૂત બનાવવામાં આવી છે."
પીએમ મોદીએ કહ્યું, 'છેલ્લા દાયકામાં, 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ સાથે જોડાયેલી હતી. ગામડાઓમાં 5.50 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે. પંચાયતો ડિજિટલ થવાનો બીજો એક ફાયદો પણ છે. હવે જીવન/મૃત્યુ પ્રમાણપત્ર, જમીન ધારણ પ્રમાણપત્ર વગેરે જેવા ઘણા દસ્તાવેજો સરળતાથી મેળવી શકાય છે.
તેમણે વધુમાં કહ્યું, 'આઝાદીના ઘણા દાયકાઓ પછી, જ્યારે દેશને એક નવું સંસદ ભવન મળ્યું, ત્યારે દેશમાં 30 હજાર નવા પંચાયત ભવન પણ બનાવવામાં આવ્યા. સરકારની પ્રાથમિકતા એ પણ રહી છે કે પંચાયતોને પૂરતું ભંડોળ મળે. છેલ્લા 10 વર્ષમાં, પંચાયતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ મળ્યું છે. આ બધા પૈસા ગામડાઓના વિકાસમાં રોકાણ કરવામાં આવ્યા છે.