ઋષભ પંતને આ ક્રિકેટરે આપેલી સલાહ ફરીથી મેદાનમાં પરત ફરવા કામ લાગી
ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયા બાદ આશિષ નેહરાના માર્ગદર્શન અને પ્રભાવનો વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે સ્વીકાર કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલરની ખુશ રહેવાની સલાહએ મુશ્કેલ તબક્કા દરમિયાન ઘણી મદદ કરી છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ રાત્રે દિલ્હી-દહેરાદૂન રોડ પર પંતનો અકસ્માત થયો હતો.
પંત IPL 2025 માં ભાગ લઈ રહ્યો છે અને લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. IPL 2025 માટે મેગા ઓક્શનમાં પંતને લખનૌએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ IPL સિઝનમાં પંતનું બેટ અત્યાર સુધી ફોર્મમાં નથી. ડિસેમ્બર 2022માં પંતની કારને અકસ્માત નડ્યો હતો તેમજ કારમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આમાંથી સાજા થવા માટે તેને ઘણી સર્જરીઓની જરૂર પડી હતી.
પંતે જણાવ્યું હતું કે, તેઓ મારા ક્લબમાં મારા સિનિયર સાથી રહ્યા છે. જ્યારે તેમણે મને જોયો, ત્યારે તે મારી પાસે આવ્યા અને કહ્યું, મને પણ ખૂબ દુઃખ થયું છે, તું ફક્ત ખુશ રહી શકે છે. એવું કામ કરો જે તમને ખુશ કરે. આ સલાહ મારા માટે ખરેખર ઉપયોગી હતી અને તેમણે મને મારી ઈજામાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી.
સર્જરી પછી પંતને એક વર્ષ સુધી સખત પુનર્વસનમાંથી પસાર થવું પડ્યું હતું. ગયા વર્ષે IPL દરમિયાન તે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફર્યો અને પછી યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત T20 વર્લ્ડ કપમાં તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વાપસી કરી હતી. પંત ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ પછી તેને ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું હતું.