ભારત-પાકિસ્તાન વચ્ચે હવે કોઈ રાઈવલરી નથી : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર
દુબઈઃ એશિયા કપ 2025ના સુપર-ફોર રાઉન્ડમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક એવું નિવેદન આપ્યું છે જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ રાઈવલરી રહી નથી. પાકિસ્તાન સામે આ જીત ભારતનો વ્હાઇટ બોલ ક્રિકેટમાં સતત સાતમો વિજય હતો. અત્યાર સુધી બંને ટીમો 15 T20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં આમને-સામને આવી છે, જેમાંથી ભારતે 12 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન ફક્ત 3 વખત જીત્યું છે. ખાસ કરીને 2022 વર્લ્ડ કપ બાદથી આ એકતરફી દબદબો વધારે સ્પષ્ટ બન્યો છે.
મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારએ સૂર્યાને પૂછ્યું કે શું આ વખતે પાકિસ્તાની ટીમ વધુ સ્પર્ધાત્મક સાબિત થઈ? તેના જવાબમાં સૂર્યાએ કહ્યું કે, “મને લાગે છે કે હવે તમારે રાઈવલરી વિશે પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ. રાઈવલરી ત્યારે કહેવાય જ્યારે બંને ટીમો 15-20 મેચ રમે અને એક ટીમ 8-7થી આગળ હોય. ત્યારે તેને સારી ક્રિકેટ અથવા રાઈવલરી કહેવાય, પરંતુ જ્યારે પરિણામો એકતરફી હોય ત્યારે તેને ફક્ત સારી ક્રિકેટ કહેવાય, રાઈવલરી નહીં.” સૂર્યાએ વધુમાં ઉમેર્યું કે, “3-0, 10-1... મને આંકડા ચોક્કસ યાદ નથી, પરંતુ હવે કોઈ રાઈવલરી રહી જ નથી.” સૂર્યાના આ નિવેદન બાદ ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે કે ભારત-પાકિસ્તાન મુકાબલો હવે પરંપરાગત ટક્કર કરતાં વધુ એકતરફી બન્યો છે.