For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાતોના વડા અને શિખામણો આપનારા ઘણા છે અમલ કરનારા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે

08:00 AM Jun 14, 2025 IST | revoi editor
વાતોના વડા અને શિખામણો આપનારા ઘણા છે અમલ કરનારા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે
Advertisement
પુલક ત્રિવેદી

(પુલક ત્રિવેદી)

Advertisement

વર્ષો પહેલાની વાત છે. એક ભાઈને જુદા જુદા વિસ્તારોમાં ફરવાનો જબરો શોખ. એક દિવસ આ ભાઈ ફરતા ફરતા એક અંતરિયાળ ગામમાં જઈ ચડ્યા. આ ગામના ગરીબ લોકોને જોઈને એ મનોમન ખૂબ વ્યથિત થઈ ગયા. એમણે ગામના ચોરે ફાટેલી ચડ્ડી અને ફાટેલું ખમીસ પહેરેલા નાના નાના ઘણા ભૂલકાઓને તોફાન કરતા જોયા. આ ભાઈ મનોમન વિચારવા લાગ્યા કે, કોઈને આ ગરીબ બાળકોની કંઈ પડી નથી. આ બાળકોને નોટ, પેન, ચોપડીઓ મળે તો આ બાળકો આગળ આવી શકે. એમનામાં શિક્ષણ અને અક્ષરજ્ઞાનનો પ્રકાશ પથરાવો જોઇએ. આ બાળકોને આગળ વધવાનો અવસર મળવો જોઇએ. સમાજમાં કોઇ આ દિશામાં વિચારતુ જ નથી. મને જો નોટ, પેન, ચોપડીઓની વ્યવસ્થા મળી શકે તો આ બાળકો માટે હું એમને ભણાવવાનું કામ કરું.

આ ભાઈ ત્યાંથી આગળ વધી જાય છે અને બીજા દિવસે નજીક આવેલા એક શહેરના પરામાં પ્રવેશે છે. બપોરે એક રેસ્ટોરંટમાં એ જમતા હતા ત્યારે સડકની સામે આવેલી એક નાની એવી જગામાં એક ભાઈ ગરીબ બાળકો માટે વિના મૂલ્યે રમકડા, નોટ, પેન અને પુસ્તકો આપતા હતા. આ ભાઈ એમની કમાણીના વીસેક ટકા આ રીતે ગરીબ બાળકોના અભ્યાસ માટે ખર્ચતા હતા. પેલા ભાઈએ રેસ્ટોરંટના વેઈટરને પૂછ્યું કે, આ ભાઈ કેટલા સમયથી આ કાર્ય કરે છે ? ત્યારે રેસ્ટોરન્ટના વેઈટરે કહ્યું કે, ‘એ ભાઇ આ પ્રવૃત્તિ ક્યારથી કરે છે એની તો મને ચોક્કસ કોઇ માહિતી નથી પણ હું અહીં ત્રણેક વર્ષથી આ રેસ્ટોરન્ટમાં કામ કરું છું. હું આવ્યો ત્યારથી તો આ ભાઈને આ સત્કાર્ય કરતાં જોઉં છું.’

Advertisement

પેલા ભાઈ તો રેસ્ટોરંટમાં જમીને પૈસા ચૂકવીને ત્યાંથી આગળ રવાના થઈ ગયા. એ ભાઇની નજર સામે રમકડા, નોટ, પેન, પુસ્તકો આપવાવાળા સજ્જન વ્યક્તિ હતા. પેલા ભાઈએ ધાર્યું હોત તો નોટ, પેન, પુસ્તકો આપવાવાળા સજ્જન વ્યક્તિનો સરસ ઉપયોગ કરી શક્યા હોત. હજુ ગઇ કાલે જ આ ભાઇ વિચારતા હતા કે કોઇ મદદ કરે તો ગામડાના ગરીબ બાળકો માટે એ કામ કરી શકે પરંતુ એ તો ત્યાંથી આગળ ચાલી નીકળ્યા.

આ ઘટના ઉપરથી એ વાત તો સ્પષ્ટ છે કે, મોટાભાગના લોકો પરિસ્થિતિનો વાંક કાઢીને જો આમ હોત તો આવું સારું કામ કરી શકાયું હોત, આમ કર્યું હોત તો સારું થાત વગેરે ચર્ચા કરતા જોવા મળે છે. પણ જ્યારે પરિસ્થિતિમાં સુધારો લાવવા માટેનો સ્ત્રોત મળી જાય પછી પણ દોષ કાઢનારા લોકો કશું કરતા નથી. પરિસ્થિતિનો વાંક કાઢવો ખૂબ સરળ છે. વિપરીત પરિસ્થિતિની ટીકા ટીપ્પણી કરવાના બદલે જો વિકટ પરિસ્થિતિમાં બદલાવ લાવવાના સ્ત્રોત સાંપડે તો એમાં સુધારો લાવવાની દિશામાં પ્રયાસ કરવાવાળા લોકો બહુ ઓછા છે. પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે કોઈ પણ જાગૃત વ્યક્તિ માત્ર એક ટકો પ્રયાસ કરે તો પણ સમાજમાં ઘણો ફરક પડી શકે છે.

કોઇ પણ સદવિચાર અને એના અમલીકરણ માટે લગન, દ્રઢ નિશ્ચય, પરિશ્રમ અને ઇમાનદારીના તત્વોનું મઝાનું મિશ્રણ હોવું જોઈએ. ગાંધીનગરમાં વર્ષોથી એક ઓલિયા જેવી બહેન પ્રજ્ઞા પટેલ આત્મન ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. પુસ્તક પરબની સેવા આપે છે. ગરીબોના મુખ ઉપર સ્મિત લાવવા આ બહેન ગાઠનું ગોપીચંદન ઘસીને સત્કાર્યોની સુવાસ સતત ફેલાવે છે. જીવનમાં કેટલાક કામો એવા હોય છે જેને કરવામાં એક અજાણ્યો આનંદ થતો હોય છે. 

ભીડમાં ચાલવું ખૂબ આસાન છે. ભીડ વ્યક્તિને વિશ્વાસ તો આપે છે પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે ભીડમાં વ્યક્તિની ઓળખ છીનવાઈ જતી હોય છે. વાતોના વડા અને શિખામણો આપનારા ઘણા હોય છે પણ સાચી દિશામાં વિચારનો અમલ કરનારા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે. મજાની વાત તો એ છે કે, ઘણા લોકો તો કોઈ નાનું અમથું કામ કરે તો પણ ગાઈ-વગાડીને ગામમાં કહેતા ફરે છે. આવા સ્વકીર્તિ ભૂખ્યા લોકોને પોતાની પ્રસિદ્ધિમાં જ રસ હોય છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ આવા સ્વકીર્તિ ભૂખ્યા પાગલ લોકોથી ભર્યા પડ્યા છે.

પાણીમાં પડવાથી વ્યક્તિનુ મૃત્યુ નથી થતુ, મૃત્યુ તો ત્યારે જ થાય છે જ્યારે તરતા ન આવડતું હોય. આ જ સમીકરણ વ્યક્તિના જીવનમાં બનતી ઘટનાઓ અને સમસ્યાઓના સંદર્ભમાં પણ સાચું છે. સમસ્યા જીવનમાં ત્યારે જ વિકરાળ બનતી હોય છે, જ્યારે વ્યક્તિને પરિસ્થિતિઓનો સામનો કરીને આગળ વધતા નથી આવડતું. જીવનમાં આવતી જુદી જુદી પરિસ્થિતિમાં માર્ગ કાઢવાના સ્થાને પરિસ્થિતિનો દોષ કાઢનારા પોતાના માટે કે સમાજ માટે કશું કરી શકતા નથી. જીવનમાં પછડાટ પણ જરૂરી છે એનાથી ખબર પડે છે કે લાયકાત કેટલી છે.

Advertisement
Tags :
Advertisement