સરદાર પટેલ માટે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું વિઝન સર્વોપરી હતુઃ PM નરેન્દ્ર મોદી
- સરદાર પટેલ ઈચ્છતા હતા કે આખુ કાશ્મીર એક હોય પણ નહેરૂએ વિભાજિત કર્યુ,
- એકતાનગરમાં ભવ્ય રાષ્ટ્રીય પરેડ યોજાઈ,
- ભારત પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથીઃ મોદી
કેવડિયા-એકતાનગરઃ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિમાં રાજધાની દિલ્હીની જેમ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ એકતા નગરમાં પ્રથમવાર પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરેડ દરમિયાન પરેડમાં ગુજરાતના ટેબ્લોએ અખંડ ભારતના નિર્માણની ગાથા રજૂ કરી હતી. ટેબ્લોની થીમમાં સરદાર પટેલની વિરાસત અને ગુજરાતના ઐતિહાસિક યોગદાનને દર્શાવવામાં આવ્યું હતું. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભારતમાં વિલીનીકરણની ઐતિહાસિક ક્ષણને પ્રદર્શિત કરાઈ હતી. આ ટેબ્લોમાં સોમનાથ મંદિર, ભૂજના સ્મૃતિવન અને રાજ્યના મુખ્ય ઉદ્યોગો જેમ કે ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી, જેણે દેશની એકતા અને સમૃદ્ધિમાં ગુજરાતના યોગદાનને ઉજાગર કર્યું હતું.
એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પરેડ બાદ સંબોધન પ્રારંભ પહેલા વડાપ્રધાન મોદીએ 'સરદાર પટેલ અમર રહે... અમર રહે' ના નારા સાથે સંબોધનની શરૂઆત કરી અને જણાવ્યું કે આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી દ્વારા એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ. તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછી સરદાર પટેલે 550થી વધુ રજવાડાઓને એક કરવાનું અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કર્યું અને તેમના માટે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું વિઝન સર્વોપરી હતું.
વડાપ્રધાને સરદાર પટેલનો વિચાર ટાંક્યો કે "આપણે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં; આપણે ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ."આજે કરોડો લોકોએ એકતાના શપથ લીધા છે અને રાષ્ટ્રની એકતાને નબળી પાડતા દરેક વિચાર કે કાર્યનો ત્યાગ કરવો એ સમયની જરૂરિયાત છે.
PM મોદીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર સરદાર પટેલની સમગ્ર કાશ્મીરને એક કરવાની ઈચ્છા પૂર્ણ થતી અટકાવવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસની નબળી નીતિઓને કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં આવ્યો, જેના કારણે દેશે દાયકાઓ સુધી કિંમત ચૂકવી. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, ભૂતકાળની સરકારોમાં રાષ્ટ્રની સાર્વભૌમત્વ પ્રત્યે ગંભીરતાનો અભાવ હતો, જેના કારણે કાશ્મીર, ઉત્તરપૂર્વમાં સમસ્યાઓ અને દેશભરમાં નક્સલવાદ અને માઓવાદી આતંકવાદનો ફેલાવો થયો છે. આ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથી. કલમ 370ના બંધનો તોડીને કાશ્મીર આજે મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે અને "ભારત ઘર મેં ઘુસ કર મારતા હૈ" તે હવે આખી દુનિયા જાણે છે.
પીએમ મોદીએ સંબોધનમાં દાવો કર્યો હતો કે વર્ષ 2014 પછી નક્સલવાદ અને માઓવાદને ઠેકાણે પાડવામાં આવ્યા છે અને જ્યાં સુધી દેશમાંથી આતંકવાદ મુક્ત નહીં થાય ત્યાં સુધી સરકાર અટકશે નહીં. મોદીએ દેશની સુરક્ષાને ઘૂસણખોરોથી મોટો ખતરો ગણાવ્યો. તેમણે અગાઉની સરકારો પર વોટ-બેંકની રાજનીતિના અનુસંધાનમાં આ મુદ્દાને અવગણવાનો અને ઘૂસણખોરોને મદદ કરવાનો આક્ષેપ કર્યો. તેમણે એક-એક ઘૂસણખોરોને બહાર કાઢવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતુ. મોદીએ કોંગ્રેસ પર અંગ્રેજો પાસેથી ગુલામ માનસિકતા વારસામાં મેળવવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે કોંગ્રેસે ધાર્મિક આધાર પર વંદે માતરમનો એક ભાગ દૂર કરીને સમાજને વિભાજિત કર્યો, જે કામ અંગ્રેજો પણ કરી શક્યા નહોતા.
 
 
            