મંદિર અનેક લોકોને ખવડાવે અને નિભાવે છે, પરંતુ ઢોલ-નગારા વગાડીને તેની જાહેરાત નથી કરતું: સંદીપ સિંહ
“ભારતીય વિચાર મંચ” દ્વારા “સાંકળોમાં જકડાયેલા મંદિરો: કોલોનિયલ નિયંત્રણથી સાંસ્કૃતિક મુક્તિ સુધી” વિષય પર સંવાદનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં “Temple Economics” અને “A Decade for Mandirs” નામની બેસ્ટ સેલિંગ પુસ્તકોના લેખક દ્વારા સાંસ્કૃતિક અને બૌદ્ધિક કોલોનાઈઝેશન પર તાર્કિક દ્રષ્ટિકોણ રજુ કરવામાં આવ્યો હતો.
વાક્તાશ્રીએ વક્તવ્યની શરૂઆત વર્ષ 2020 માં પ્રસરેલા વૈશ્વિક રોગચાળા “ચાઈનીસ વાયરસ” સમયે દેશમાં ઉદ્ભવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરી હતી. તેની શરૂઆતમાં લાખો શ્રમિકોએ શહેરથી પોતાના ગામ તરફ પગપાળા પ્રયાણ કર્યું હતું, ત્યારે તેમના મન-મસ્તિષ્કમાં ખાવા, રહેવા અને સુવાની કોઈ ચિંતા નહોતી. કારણ કે કહ્યા અને માંગ્યા વગર નાત-જાતના ભેદભાવ વગર લાખો લોકોના જમવા, સુવા અને રહેવાની વ્યવસ્થા અનેક મંદિર અને દેવસ્થાનોએ કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, મંદિરો અનેક લોકોને ખવડાવે અને નિભાવે છે, પરંતુ ઢોલ-નગારા વગાડીને તેની જાહેરાત નથી કરતા.
મંદિરનો ખરો અર્થ શું? આ પ્રશ્ન કાર્યક્રમના સંચાલક અને NIMCJ ના નિયામક શિરીષ કાશીકર દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો અર્થ સમજાવતા સંદીપ સિંહે જણાવ્યું હતું કે, મંદિર માત્ર પૂજા સ્થળ જ નથી, પરંતુ તેમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા થાય છે અને એટલે જ મંદિર ભગવાનનું ઘર છે. અને મંદિરએ મંદિર જ છે, તેને temple નાં કહેવું જોઈએ. અને તેમણે temple economy ને નકારતા જણાવ્યું હતું કે, તે temple revenue છે, જે હિન્દુ સમાજે સમજવાની જરૂર છે.
સંદીપ સિંહે મંદિરોને સમગ્ર દેશને ઉત્તરથી દક્ષિણમાં જોડતા દેવ સ્થાનો ગણાવી જણાવ્યું હતું કે, જ્યારે ઉત્તરમાં ઓરંગઝેબ કાશીનું મંદિર તોડી રહ્યો હતો ત્યારે, દક્ષિણનાં તામીલનાડુમાં શિવકાશી બનાવવામાં આવ્યું હતું. ઈતિહાસ સાક્ષી છે કે, મંદિર માટે હિંદુ સમાજ એકસાથે ઉભો થયો છે, અને તેનું તાદર્શ ઉદાહરણ છે અહિલ્યા બાઈ હોલકર, જેમનું યોગદાન દેશના અનેક મંદિરોના જીર્ણોધ્ધારમાં જોવા મળે છે.
ભારતને વિશ્વની એક માત્ર જીવંત સભ્યતા ગણાવતા વાક્તાએ જણાવ્યું હતું કે, ઈજીપ્તમાં આજે પણ લોકો રહે છે અને, અનેક વર્ષો જુના પીરામીડ જોવા પણ મળે છે, પરંતુ તે લોકોને પીરામીડ બનાવતા નથી આવડતું તેમજ, પીરામીડ બનાવવા પાછળના ઉદ્દેશની પણ સમજ નથી. જ્યારે ભારતમાં આજે લોકો રહે છે, હજારો વર્ષો જુના મંદિરો પણ જોવા મળે છે અને વર્તમાન સમયમાં લોકોને મંદિર બનાવતા પણ આવડે છે, આ બાબત ખરેખર ગર્વ લેવા જેવી છે. તાજેતરમાં જ અયોધ્યામાં બનાવવામાં આવેલ રામ લાલ્લાનું ભવ્ય મંદિર આ બાબતનું તાદર્શ ઉદાહરણ છે.
કૈલાસપતિ ફળને પશ્ચિમના દેશોમાં cannonball કહેવાય છે, એટલે કે, તોપનો ગોળો. જેનો વ્યંગ કરતા સંદીપ સિંહે કહ્યું હતું કે, ફળમાં જેને યુદ્ધનો સામાન દેખાય છે એવી પશ્ચિમી સંસ્કૃતિ આપણને સભ્યતા, શાંતિ અને સંસ્કારની બાબત શીખવાડશે? અને ચર્ચ સંચાલિત પશ્ચિમની વૈજ્ઞાનિક સંસ્થાની વાત કરતા વક્તાએ જણાવ્યું કે, શૂન્યની શોધ બાદ સ્વીકૃતિ માટે ચર્ચને 500 વર્ષ લાગ્યા, જ્યારે ગ્વાલિયરમાં હજારો વર્ષ જુનું “ઝીરો મંદિર” આવેલું છે. વધુમાં વિજ્ઞાન અને હિંદુ મંદિરો વચ્ચે પ્રાસ બેસાડતાં વક્તાએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરમાં આવેલ સ્થંભ કે જેમાં “દક્ષીણ ધ્રુવ” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આપણા ધર્મને વિજ્ઞાન સાથે જોડવા માટે પૂરતી છે.
વક્તાએ હિન્દુ સમાજને એક પ્રશ્ન પણ પૂછ્યો હતો, આર્થિક લાભ માટે આપણે CII, ASSOCHAM જેવી નીતિ સંશોધન સંસ્થા બનાવી છે, જે સરકારને આગળની નીતિ ઘડવા માટે માહિતી આપે છે, પરંતુ મંદિરો માટે કેમ કોઈ વિચાર નથી કરી રહ્યું? હિન્દુ સમાજે જાગવું પડશે અને સરકાર સમક્ષ મંદિરના વહીવટ અને આગળની નીતિ બાબતે ચર્ચા કરવી પડશે અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે તમારી પાસે સાચી જાણકારી હશે. અને એટલે જ, સંદીપ સિંહે સમગ્ર હિન્દુ સમાજને નાત-જાત, લિંગ ભેદ જેવા અનેક ભેદભાવ ભૂલીને મંદિર માટે માત્ર 10 વર્ષ સમર્પિત કરવાની હાકલ કરી છે, અને કહ્યું છે કે મંદિર લોકોને એક-બીજા સાથે જોડે છે. સંદીપ સિંહનું દ્રઢપણે માનવું છે કે, જીવનની 99% સમસ્યાનું સમાધાન મંદિરને સમર્પિત થવાથી જરૂર આવશે.
મંદિર બાબતે ચાલી રહેલી ચર્ચાના સંદર્ભે વક્તાએ જણાવ્યું હતું કે, એક ચર્ચા સાંભળવા મળે છે કે, જો સરકાર મંદિરના વહીવટમાંથી નીકળી જશે તો મંદિરમાં ભ્રષ્ટાચાર પેસી જશે. પરંતુ મારો પ્રશ્ન એવો છે કે, લગભગ તમામ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે તો શું નાગરીકો તે વિભાગ પર કબજો કરી લે છે? અને ભારતમાં સરકાર માત્ર 75 વર્ષથી જૂની છે, આપણા મંદિરો તો હજારો વર્ષ જૂના છે, જે ઓરંગઝેબ જેવા આક્રાંતા સામે પણ અડીખમ ઉભા છે. તો સરકારે મંદિર માટે નાહકની ચિંતા ના કરવી જોઈએ. છાશવારે જોવા મળે છે કે, મંદિરના તંત્રમાં કોઈ અનીતિ જોવા મળે તો તે વ્યક્તિ સામે હિંદુ સમાજ ઉભો થાય છે. હિંદુ સમાજ મંદિરને સંભાળવા માટે સક્ષમ છે જ.
સંપૂર્ણ વક્તવ્ય દરમિયાન, વક્તાએ ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન સાડીને ગોઆના હિંદુ પરિવારોએ ખ્રિસ્તી આક્રાન્તાઓથી કેવી રીતે બનાવી રાખી હતી તે બાબત જણાવી હતી તેમજ, ભારત મંડપમમાં રાખવામાં આવેલ નટરાજની મૂર્તિ પાછળ નિર્માણ-વિનાશનો અર્થ સમજાવ્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આધુનિક બનવા ગ્રેગોરિયન કેલેન્ડર નેઅપનાવી ચૂકેલો આપણે સૌને ક્યા ખબર જ છે કે, ગ્રેગોરિયન કેલેન્ડર બનાવવા ખ્રિસ્તીઓ જહાજ ભરીને આપણા શાસ્ત્રો અને પંચાંગો લઇ ગયા છે.
એક ડઝનથી વધારે પુસ્તકના લેખકે શ્રોતાજનોને અંતે કહ્યું હતું કે, રોડ-રસ્તા ખરાબ હોય તો સોશિયલ મીડિયા પર અધિકારીને ટેગ કરો છો, તૂટેલા રોડનો ફોટો મુકો છો, અને ચૂંટણીથી લઈને દરેક મેળાવડામાં તેને ચર્ચાનો વિષય બનાવો છો, તો પછી મંદિરના વહીવટ અને તેના ઉપાર્જન બાબતે હિન્દુ સમાજને કેમ કોઈ ફરિયાદ નથી? ફરિયાદ નહીં કરો તો સરકારને ખબર કેવી રીતે પડશે?
છેલ્લા 34 વર્ષથી દેશ અને સમાજને અસર કરતા કાર્યક્રમ આયોજિત કરતી સંસ્થા “ભારતીય વિચાર મંચ” દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે તે આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે હતું. જેમાં 100 થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં મંદિરના ટ્રસ્ટીગણ, દેવ સ્થાનોના સેવક પરિવાર, ચિંતક, વિચારક સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.