અમદાવાદમાં રથયાત્રાનો રૂટ નહીં બદલાય, કાળુપુરનો રોડ ખૂલ્લો કરાશે
- કાલુપુર રેલવે સ્ટેશન ઇન ગેટની બહારથી રોડ બંધ કરી દેવાયો હતો,
- રેલવેએ રથયાત્રા પૂરતું આ રોડ પરનાં પતરાં હટાવી રસ્તો ખુલ્લો કર્યો,
- રસ્તો ખુલ્લો કરી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરંપરાગત માર્ગે ભક્તોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળશે. મંદિર દ્વારા રથયાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે. શહેરના કાલુપુર અને સારંગપુર બ્રિજને જોડતા 6 લેન એલિવેટેડ રોડના કામના કારણે કાલુપુર રેલવે સ્ટેશન ઇન ગેટની બહારથી ટ્રાફિક ડીસીપી અને ઝોન-3 ડીસીપી ઓફિસ સુધી રોડ બંધ કરી દેવાયો હતો, જેના કારણે રથયાત્રાનો રૂટ બદલવો પડે તેમ હોવાથી વિવાદ શરૂ થયો હતો. જોકે રથયાત્રાનો પરંપરાગત રૂટ બદલાય નહીં તે માટે રેલવેએ રથયાત્રા પૂરતું આ રોડ પરનાં પતરાં હટાવી રસ્તો ખુલ્લો કર્યો છે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે 148મી રથયાત્રા અષાઢીબીજને તા.27 જૂને નીકળશે.વર્ષોથી રથયાત્રા પરંપરાગત માર્ગેથી જ નિકળે છે. જોકે રથયાત્રાના રૂટ પર આવતા કાલુપુર વિસ્તારમાં એલિવેટેડ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી બે મહિનાથી એક બાજુનો રસ્તો વાહનચાલકો માટે બંધ કરી દેવાયો હતો, જેના કારણે રથયાત્રાનો રૂટ થોડો ડાઇવર્ટ કરવો પડે તેમ હતો. જ્યારે બીજી બાજુ મંદિર ટ્રસ્ટી મંડળે રૂટ નહિ બદલવા જીદ કરી હતી, જેથી શહેર પોલીસ અને રેલવે પોલીસે આ બાબતે મીટિંગ કરી હતી, જેમાં રથયાત્રા પૂરતું કાલુપુર ઇન ગેટની બહારથી ટ્રાફિક ડીસીપી અને ઝોન - 3 ડીસીપી ઓફિસ સુધીના રસ્તો ખુલ્લો કરવાનું નક્કી કરાયું હતું.
ભગવાન જગન્નથાજીની રથયાત્રામાં પોલીસ, એસઆરપી, આરએએફ, સીઆઈએસએફ અને બીએસએફનો બંદોબસ્ત ગોઠવાશે. કુલ 20 હજારથી વધુ પોલીસ-સુરક્ષા જવાનો તહેનાત રહેશે. રેલવે વિભાગે કાલુપુર રેલવે સ્ટેશનના ઈનગેટ બહારના રસ્તા પરથી પતરાં ખોલી ટેમ્પરરી રસ્તો ખુલ્લો કર્યો હતો. ત્યાર બાદ ઝોન - 3 ડીસીપીના તાબા હેઠળ પોલીસની ટીમે તે રસ્તા પર ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું.