એએમસી દ્વારા બ્રીજની કામગીરીને લીધે વાડજથી રાણીપ જતો રોડ બે મહિના માટે બંધ કરાશે
- વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે,
- ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અને અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડી તરફ જઈ શકાશે,
- 3જી ઓક્ટોબરથી બ્રિજની કામગીરીના લીધે રોડ બંધ કરવામાં આવશે
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ટ્રાફિકથી ભરચક રહેતા ચાર રસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવાશે. આ બ્રિજની કામગીરી આગામી તા. 3જી ઓક્ટોમ્બરથી શરૂ કરવામાં આવશે. આથી વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના કે કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટા જંકશન ઉપર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના કે કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી વાહન ચાલકો, AMTS, BRTS અને એસટી બસ ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અથવા અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડીથી નેશનલ હેન્ડલુમ તરફ જઈ શકશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 3 ઓક્ટોબરથી બ્રિજની કામગીરીના પગલે વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બંધ કરવામાં આવશે. વાડજ જંકશન ઉપર ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનાવવાની તેમજ ટુ લેન અંડર પાસ બનાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વાડજ જંકશન પર પાઈલકેપ, પીયર તેમજ પીયરકેપની કામગીરી માટે 3 ઓક્ટોબરથી બે માસ અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વાડજ જંક્શન પરથી રાણીપ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવશે .આ રોડ પરથી દરરોજ 100થી વધુ એસટી બસ, 50થી વધુ AMTS અને BRTS તેમજ 25000થી વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે. આ વાહનચાલકોના ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજી પુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જવાના રસ્તે તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઇ અખબાર નગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ જતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી આ રસ્તા પર પસાર થતાં તમામ પ્રકારના વાહનોએ 3 ઓક્ટોબરથી રાણીપ તરફ અવર જવર માટે ડાયવર્ટ કરવામાં આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.