ભારતીય સેનાએ રાતના 1.05થી 1.30 સુધી ચલાવ્યું ‘ઓપરેશન સિંદુર’, જાણો ક્યાં સ્થળ ઉપર કરાયા હુમલા
નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી ઉઠી હતી. બીજી તરફ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન ભારતીય સેનાએ મધ્યરાત્રિ બાદ પાકિસ્તાનમાં ધમધમતા નવ સ્થળો ઉપર હુમલો કર્યો હતો. ભારતની કાર્યવાહીને લઈને પાકિસ્તાન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ ભારતે જે સ્થળો ઉપર હુમલો કર્યો હતો. તેના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ પણ સામે આવ્યાં છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદુરમાં 100 જેટલા આતંકવાદીઓના મોત થયાનું જાણવા મળે છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધમધમતા લશ્કર-એ-તૈયબા, જેશ-એ-મોહમ્મદ અને હિઝબુલ્લાના આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યાં હતા. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા નવ લક્ષ્યો પસંદ કરીને બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહ, મુરીદકેમાં મરકઝ તૈયબા, બહાવલપુરમાં સરજલ/તેહરા કલાન, સિયાલકોટમાં મેહમૂના જોયા સુવિધા, ભીમ્બરમાં મરકઝ અહલે હદીસ બરનાલા, કોટલીમાં મરકઝ અબ્બાસ ઉપર હુમલો કર્યો હતો. આતંકવાદી કેમ્પોને નાશ કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.
પહેલગામમાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ભારતે આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાથી પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની આકરી કાર્યવાહી કરી હતી. તેમજ ભારત દ્વારા સરહદ ઉપર સુરક્ષા વધારવાની સાથે વિવિધ એજન્સીઓને સાબદી કરવામાં આવી હતી. તેમજ સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારત આકરામાં આકરી કાર્યવાહી કરશે તેવો ડર પાકિસ્તાનને લાંબા સમયથી હતો. જેથી પાકિસ્તાને પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં એલઓસી ઉપર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.