ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ 197 બાળકોનું નામાંકન કરાવ્યું
- મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા,
- શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું,
- શાળાના બે વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું
ગાંધીનગરઃ જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ-1માં 48 અને ધોરણ-9માં 42 બાળકોનું નામાંકન કરાવ્યુ હતું.
પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025માં મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કિટ આપી આવકાર્યા હતા. તેમણે શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. શાળાના બે વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. મુખ્યમંત્રીએ શિક્ષકોને સલાહ આપી કે બાળકોને પ્રથમ દિવસે મુક્ત રીતે રમવા અને વાતચીત કરવા દેવી જોઈએ. તેમણે માતા-પિતાને આર્થિક મુશ્કેલીઓમાં પણ બાળકોનું શિક્ષણ ન અટકાવવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હંસાબેન પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ સહિત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે અને શિક્ષણ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે સરકાર કટિબદ્ધ છે.