મધ્યપ્રદેશમાં કફસીરપ પીધા બાદ 16 બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, CBI તપાસની માંગણી
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કફ સીરપ પીધા બાદ 16 બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, તેમજ સમગ્ર પ્રકરણની સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આગામી દિવસોમાં આ અરજી ઉપર સુનાવણી હાથ ધરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશ સરકાર પણ સાબદી બની છે અને જરૂરી તપાસના નિર્દેશ કર્યાં છે.
મધ્યપ્રદેશમાં કફસીરપ પીધા બાદ 16 બાળકોના મોતની ગંભીર ઘટનાની સીબીઆઈ તપાસની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દૂષિત કફસીરપ મામલે સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિની આગેવાનીમાં તપાસની માંગણી કરવામાં આવી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં ડો. પ્રવીણ સોનીની ધરપકડ કરવાની સાથે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ કફસીરપ બનાવતી કંપની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ મોહન યાદવે બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા ઉપરાંત ડ્રગ કન્ટ્રોલરની બદલીના આદેશ કર્યાં છે. આ ઉપર પોલીસ તપાસ માટે 12 સભ્યોની સિટની રચના કરી છે.
છીંદવાડાના ઔષધિ નિરીક્ષક ગૌરવ શર્મા, જબલપુરના ઔષધિ નિરીક્ષક શરદકુમાર જૈન અને રાજ્યના ઉપસંચાલક ખાદ્ય અને ઔષધિ પ્રશાસન શોભિત કોસ્ટાને સસ્પેન્ડ અને આઈએએસ અધિકારી દિનેશ મૌર્યાની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ છિંદવાડા પ્રકરણમાં સીએમ હાઉસમાં ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી અને અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યાં હતા.