પ્લેન ક્રેશનો ભોગ બનેલા પ્રવાસીના DNA મેચ થતા જ મૃતદેહ સ્વજનોને સોંપાય રહ્યા છે
- DNA મેચ થતાં 5 મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા,
- 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા,
- હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરાઈ
અમદાવાદઃ શહેરમાં ગઈકાલે ગુરૂવારે લંડન જવા માટે ઉડાન ભરેલું વિમાન તૂટી પડતા વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ તેમજ 12 સ્કૂ મેમ્બરના મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો હતો. વિમાન મેડિકલ હોસ્ટેલની મેસ પર તૂટી પડતા કેટલાક તબીબી વિદ્યાર્થી તેમજ અન્ય લોકો પણ ભોગ બન્યા હતા. વિમાન દુર્ઘટનાના આજે બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. મૃતકના સગાઓ DNA મેચ થાય અને મૃતદેહ સોંપાય તેની રાહ જોઈ રહ્યા છે. કૂલ 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જ્યારે, રૂપાણી સહિત 40 મૃતકના DNA મેચ કરવાના બાકી છે. ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરવામાં આવી છે. 5 મૃતદેહના DNA મેચ છતાં મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા હતા.
અમદાવાદ શહેરમાં ગઈકાલે તા. 12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 230 પ્રવાસીઓ હતા જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના કેટલાક ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા હતા જ્યારે કેટલાને ઈજાઓ થતાં સારવાર ચાલી રહી છે.