બનાસડેરીની 57મી સાધારણ સભા ગુરુવારે બપોરે યોજાશે
- પશુપાલકોના હિતમાં મહત્વના નિર્ણય લેવાય તેવી આશા
- દૂધના ભાવને લઈને નિર્ણય લેવાય તેવી શકયતા
ગાંધીનગરઃ એશિયાની સૌથી મોટી મનાતી ગુજરાતની બનાસડેરીની તા. 21મી ઓગસ્ટના રોજ બપોરના 57મી સાધારણ સભા યોજાશે. આ સાધારણ સભામાં પશુપાલકોને ફાયદા થાય તેવા મહત્વના નિર્ણય લેવામાં આવશે. ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ સાધારણ સભા યોજાશે.
બાદરપુર ખાતે બનાસડેરીની 57મી સાધારણ સભા યોજાશે. જેમાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપરાંત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પશુપાલકોના આર્થિક ઉદ્ધારને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં વધારાને લઈને જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળે મહત્વનો નિર્ણય લેતાં બનાસદાણની પ્રતિ બેગ રૂપિયા 80નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને પગલે પશુપાલકોને વર્ષે દહાડે પશુ દાણની ખરીદીમાં થતા ખર્ચમાં 95 કરોડ રૂપિયાનો ફાયદો થશે.