દ્વારકા, શામળાજી અને અંબાજી સહિત મંદિરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યા
- દ્વારિકા મંદિરનો 10 કિમી દૂરથી ઝગમગાટ જોવા મળે છે,
- શક્તિપીઠ અંબાજી મંદિરને વિવિધ પ્રકારની રોશનીથી શણગારાયુ,
- ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ 10 હજાર દીવડાંની રોશનીથી ઝળહળી ઊઠયું
અમદાવાદઃ પ્રકાશના પર્વ દીપોત્સવી અને નૂતન વર્ષ અને ભાઈબીજ સહિતના તહેવારોને લીધે તમામ મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. જેમાં દ્વારકાના દ્વારકાધિશના મંદિરને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે શામળાજી મંદિરને પણ શણગારવામાં આવ્યું છે. તેમજ શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આમ તમામ મંદિરોને રંગબેરંગી લાઇટ્સ અને ખાસ દીપમાળાથી શણગારવામાં આવતાં પ્રકાશપર્વનું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ આજે 10 હજાર દીવડાંની રોશનીથી ઝળહળી ઊઠયું છે. જેનો અલૌકિક નજારો સામે આવ્યો છે.
દિવાળી પર્વ નિમિત્તે દ્વારકાધિશ મંદિરને રંગબેરંગી લાઈટોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. મંદિરના શિખરથી લઈને પરિસર સુધી રંગબેરંગી રોશની કરવામાં આવતાં મંદિર ઝગમગી ઉઠ્યું છે. આ સજાવટને કારણે સમગ્ર દ્વારકાધામ પ્રકાશમય બની ગયું છે. દ્વારકા આસપાસની ત્રિજયાના 10 કિમી દૂરથી જગતમંદિર રંગબેરંગી ડેકોરેટીવ લાઈટની સીરીઝ તથા અન્ય લાઈટીંગથી ઝગમગતું નિહાળી શકાય છે. દિવાળીના તહેવાર દરમિયાન દેશભરમાંથી અને વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે દ્વારકા આવી રહ્યા છે. ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધિશના દર્શન કરીને આ દિવ્ય માહોલનો લહાવો લીધો હતો. દિવાળી પર્વ નિમિત્તે દ્વારકાધીશના દર્શન સાથે સમગ્ર દ્વારકા ધામ ભક્તિ અને આનંદના વાતાવરણમાં તરબોળ છે.
શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. મોટી સંખ્યામાં ભક્તો માતા અંબાના દર્શનાર્થે આવે છે. હાલમાં ચાલી રહેલા દિવાળી પર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરને વિવિધ પ્રકારની રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળી પર્વને અનુલક્ષીને અંબાજી ખાતે સુંદર લાઈટિંગ કરવામાં આવી છે. મંદિરના શિખરથી લઈને સમગ્ર પરિસરને રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું છે, જે રાત્રિ દરમિયાન મંદિરની ભવ્યતામાં વધારો કરે છે.
જ્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી મંદિર આ વખતે તેની વિશેષ રોશનીને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર મંદિર પરિસરને વોમવ્હાઇટ લાઇટ્સથી એવી રીતે સજાવવામાં આવ્યું હતું. કે રાત્રિના સમયે પણ અહીં જાણે દિવસ જેવો નજારો ઊભો થયો હતો. આ રોશનીએ મંદિરની પ્રાચીન સ્થાપત્યકલાને વધુ ભવ્ય બનાવી દીધી હતી. શામળાજી મંદિરને દિવાળીના તહેવારોમાં વિશેષ રીતે શણગારીને ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
શામળાજી મંદિરનો રાત્રિનો નજારો અત્યંત નયનરમ્ય અને આહલાદક જોવા મળ્યો હતો. મંદિર પરિસરને રંગબેરંગી લાઇટિંગથી ઝગમગાવવામાં આવ્યું છે. આ વખતે ખાસ કરીને વોર્મ વ્હાઇટ લાઇટિંગ ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રાત્રિના સમયે પણ મંદિર પર દિવસ જેવો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.
દિવાળીના આ પવિત્ર અવસરે, ભક્તોએ ભગવાનના દર્શનની સાથે સાથે મંદિરની આ અનોખી રોશનીનો પણ લ્હાવો લીધો હતો. શામળાજી મંદિરને દિવાળીના તહેવારોમાં વિશેષ રીતે શણગારીને ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.