ગુજરાતમાં હવે તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે
- પવનની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારો
- રાજ્યભરમાં ઉનાળો વધુ આકરો બનશે
- દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો અનુભવાશે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયા બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. હવે આગામી બે દિવસમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને 22મી માર્ચથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીને વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. હવે રાજ્યમાં ધીરે ધીરે તાપમાનમાં વધારો થયો છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર, પવનની દિશા બદલાતા રાજ્યમાં 22મી માર્ચથી ગરમી વધશે અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન ફુકાય રહ્યો છે, જેથી બે દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે. તેને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થશે. અમુક પવનો ઉત્તર-પૂર્વના પણ હોઈ શકે છે. જેથી, રાજ્યના વિવિધ વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ થઈ શકે છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાનમાં બે દિવસ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. તેમ લઘુત્તમ તાપમાનમાં બે દિવસ દરમિયાન કોઈ મોટો બદલાવ થશે નહીં. તે બાદ બેથી ત્રણ ડિગ્રી વધારો થવાનું અનુમાન છે. આગામી 24 કલાક હજુ પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવવાથી બફારાનો અનુભવ થશે. ત્યારબાદ બે દિવસથી દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ રાહતનો અનુભવ થશે પરંતુ, તેની સાથે-સાથે ધીમે-ધીમે તાપમાનમાં પણ વધારો થતાં ગરમીનો અનુભવ રહેશે.