અમદાવાદમાં એરપોર્ટ નજીકના બહુમાળી મકાનો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરાશે
- પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું,
- સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તે હટાવાશે,
- સર્વેની કામગીરીમાં મ્યુનિ.કોર્પોરેશનની ટીમ પણ જોડાશે
અમદાવાદઃ શહેરમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. અને શહેરના સરદાર પટેલ એરપોર્ટ આસપાસની બહુમાળી બિલ્ડિંગો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઇ કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે. ત્યારબાદ સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તેને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મ્યુનિ.કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે. જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવીએશન અને મ્યુનિ.કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અન્ય વિભાગો સાથે સંકલન કરીને સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે દૂર કરવાનું હોય છે તે દૂર કરાશે. પ્રાથમિક રીતે સિવિલ એવિએશન અને મ્યુનિની ટીમ બનાવી સર્વે કરી જે અડચણરૂપ હશે તેને દૂર કરાશે. ઊંચા વૃક્ષોને ટ્રમિંગ કરીને નાના કરાશે. બહુમાળી મકાનો નડતરરૂપ હશે તો મકાનમાલિકોને નોટિસ અપાશે. અને ત્યારબાદ ડિમોલીશનની કાર્યવાહી હાથ દરવામાં આવશે.
અમદાવાદની જેમ સુરત એરપોર્ટ આસપાસ બહુમાળી બિલ્ડિંગો છે. જેથી એક કાર્યકર્તા દ્વારા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વહેલી સુનાવણી માટે રજૂઆત કરવામાં આવી છે આ બાબતે 16 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે. સુરતમાં પણ કલેકટર તંત્ર દ્વારા એરપોર્ટ આસપાસ આવેલી ઈમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.